પાલઘર: પાલઘર જિલ્લામાં આવેલી એક કંપનીના ઍર કન્ડિશનિંગ યુનિટમાં ધડાકો થતાં ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હતા. જોકે સારવાર દરમિયાન બીજે દિવસે ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે અબિતઘર-અભંગ પાડા વિસ્તારમાં આવેલી વિસ્તર મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડમાં શનિવારે ધડાકો થયો હતો.
મૃતકોની ઓળખ મોહમ્મદ અલી અન્સારી (32), અખિલેશ કુમાર મોતીલાલ જૈસ્વાલ (45) અને કિસન ભિવા નિકમ (57) તરીકે થઈ હતી. બ્લાસ્ટ થયો ત્યારે ત્રણેય જણ મેઈન્ટેનન્સ વર્ક કરી રહ્યા હતા.ધડાકાને કારણે ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા.
ત્રણેય કર્મચારીને આ કામ સોંપનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની બેદરકારીને કારણે મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જવ્હારના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડીપીઓ) સમીર મહેરે જણાવ્યું હતું.રિપેરિંગના કામ વખતે સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હતું કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે વાડા પોલીસ તપાસ કરી રહી હોઈ રવિવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એવું મહેરે જણાવ્યું હતું. (પીટીઆઈ)