Tue Aug 18 2026

Logo

બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા રાજનું 27 વર્ષની વયે નિધન, પરિવારે એક મહિના પછી કરી જાહેરાત

2026-08-16 21:26:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: હિન્દી અને તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકેલી જાણીતી અભિનેત્રી અનન્યા રાજનું માત્ર 27 વર્ષની વયે નિધન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ‘7 અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અનન્યાએ 15 જુલાઈની વહેલી સવારે ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, તેના પરિવાર દ્વારા એક મહિના બાદ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે તેમના નિધનની માહિતી જાહેર કરવામાં આવ્યા પછી સૌને આશ્ચર્ય થયું હતું.

અનન્યાના પરિવારે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે અભિનેત્રી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરી રહી હતી. પરિવારે જણાવ્યું હતું કે અનન્યાએ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે એક યોદ્ધાની જેમ સંઘર્ષ કર્યો હતો. જોકે, પરિવાર દ્વારા તેમની ચોક્કસ તકલીફ શું હતી અથવા તેમના નિધનનું ચોક્કસ કારણ શું હતું તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

પરિવારે પોસ્ટમાં જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે અનન્યાના નિધનની જાણકારી આપી રહ્યા છીએ. 15 જુલાઈની વહેલી સવારે અનન્યાએ ઊંઘમાં જ શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી તે શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી અને તેમાંથી બહાર આવવા માટે તેણે સતત સંઘર્ષ કર્યો હતો.

અનન્યાના નિધનની જાણકારી લગભગ એક મહિના બાદ સામે આવતા તેમના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ આઘાત લાગ્યો છે. 27 વર્ષની નાની ઉંમરે અભિનેત્રીના અવસાનથી તેમના પરિવાર, મિત્રો અને ચાહકોમાં શોકની લાગણી છે.અનન્યા રાજે વર્ષ 2016માં ફિલ્મ ‘7 અવર્સ ટુ ગો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 2017માં તેઓ ‘ધ ફાઈનલ એક્ઝિટ’માં જોવા મળી હતી. બાદમાં તેમણે ‘ઘોસ્ટ’ સહિતની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. હિન્દી ફિલ્મો ઉપરાંત અનન્યાએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

તેણે તેલુગુ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો, જેમાં તેમની સામે અભિનેતા નવીન ચંદ્ર જોવા મળ્યા હતા. આ ઉપરાંત, અનન્યા ત્રણ ભાષામાં બનેલી ફિલ્મ ‘મદ્રાસી ગેંગ’માં પણ જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત તેણે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.

અનન્યા રાજની કારકિર્દી અને જીવાદોરી ભલે ટૂંકી રહી હોય, પરંતુ તેણે હિન્દી તેમ જ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના અચાનક નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોક છવાયો છે. હાલ પરિવાર દ્વારા તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.