Wed Jun 03 2026

Logo

નવસારીમાં રમતા રમતા કારમાં ઘુસી ગયેલા બે બાળકના કાર લૉક થઈ જવાથી મોત

2026-06-03 20:31:49
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ નવસારીના ધારાગીરી ગામમાં બે પિતરાઈ ભાઈને કારમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યાની કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં પોતાના ઘર પાસે બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા કારમાં ઘુસી ગયા હતા, પરંતુ કારનો દરવાજા લૉક થઈ જતા બાળકો ગૂંગળાઈ જવાતી મોતને ભેટતા સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો. 

મળતી માહિતી મુજબ, ધારાગીરી ગામમાં રહેતા જોગી પરિવારના બે માસૂમ બાળકો કૈરવ જોગી (ઉંમર વર્ષ 4) અને અભિમન્યુ જોગી (ઉંમર વર્ષ 3) ઘરની બહાર રમી રહ્યા હતા. તેઓ ઘરથી થોડે દૂર પડેલી એક જૂની કારમાં ગયા હતા અને કારનો દરવાજો લૉક થઈ ગયો હતો. ખૂબ જ ગરમી અને ગૂંગળામણને લીધે તેઓ કારમાં જ બેભાન જેવી હાલતમાં પડ્યા હતા. અહીંથી પસાર થઈ રહેલી એક મહિલાએ આ બન્નેને કારમાં જોતા બૂમાબૂમ કરી મૂકી હતી

અને આસપાસના લોકો તેમ જ બાળકોનો પરિવાર આવી ચડ્યો હતો. ગમે તેમ કારમાંથી બાળકોને કાઢી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર બાળકો પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના બે ભૂલકા આ રીતે મોતને ભેટતા સમગ્ર માહોલ શોકમય બની ગયો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.