નાશિક: નાશિકમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ડેમમાં કુલ પાણીનો જથ્થો ૭૯.૦૬ ટકાએ પહોંચ્યો છે, જેમાં શહેરને પાણી પૂરું પાડતા ગંગાપુરનો આંકડો ૮૪.૫૧ ટકા છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યા સુધીમાં શહેરમાં ૩૭.૬ મિલીમીટર વરસાદ પડ્યો હતો. બાગલાન તાલુકાના અજમેર સૌંદાણેમાં વરસાદ દરમ્યાન ખેતરમાં પાણીનો પંપ શરૂ કરતી વખતે વીજ કરંટ લાગવાથી એક ખેડૂતનું મોત થયું હતું. બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. કુલ ૩૨ ઘરોને નુકસાન થયું છે. લગભગ ૮૦ હેક્ટર જમીનને અસર થઈ છે. નુકસાન મૂલ્યાંકન સર્વેક્ષણ ચાલુ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિને કારણે ૪૨૯ લોકોને જેમાં મોટાભાગે નિફાડ તાલુકામાં છે, સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઓઝરમાં બાણગંગા નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે, અને તેના કિનારા પર રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ગંગાપુર ડેમમાંથી કુલ ૪૯૪૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જ્યારે સત્તાવાર માહિતી મુજબ, દર્ના માટે આ આંકડો ૧૩૨૫૦, નંદુર-મધ્યમેશ્ર્વર વિયર માટે ૪૯૦૬૬ અને ચણકાપુર માટે ૭૫૯૧ હતો. (પીટીઆઈ)