નાશિકઃ નાશિકના ઠગ અશોક ખરાતના દુષ્ટ કાર્યોનો રેલો હવે મંત્રાલયની એરકન્ડિશન્ડ ઓફિસ સુધી પહોંચી ગયો છે. રાજકીય નેતાઓ પછી, હવે વહીવટી અધિકારીઓના 'સંબંધો' ખુલ્લા પડવા લાગ્યા છે, જેના કારણે મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈના સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) ના ડેપ્યુટી કલેક્ટર અભિજીત ભાંડે પાટિલનું ડેપ્યુટેશન ખરાત સાથેના ગાઢ સંબંધોની શંકાને કારણે રદ કરવામાં આવ્યું છે. તેમની ઉતાવળમાં બદલી કરવામાં આવી છે. આનાથી હવે મંત્રાલયના અધિકારીઓમાં ચિંતા પેઠી છે.
તપાસ દરમિયાન બહાર આવેલી માહિતી મુજબ, અભિજીત ભાંડે પાટીલના અશોક ખરાત સાથે ખૂબ જ નજીકના સંબંધો હતા. ભાંડે પાટીલ પર ખરાતની પત્ની અને પુત્રીના નામે રહેલી અનેક જમીન વ્યવહારોમાં મોટા રોકાણની શંકા છે. આ અધિકારી પર મહેસૂલ વિભાગમાં મહત્વપૂર્ણ પદ પર રહીને ખરાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વહીવટી રક્ષણ પૂરું પાડવા અને તેમના નાણાકીય સામ્રાજ્યમાં ભાગીદાર બનવાના ગંભીર આરોપો છે.
અભિજીત ભાંડે પાટિલની બદલી માત્ર શરૂઆત માનવામાં આવે છે. ખરાતના સંપર્કમાં રહેલા કેટલાક અન્ય અધિકારીઓની યાદી સીઆઇડી અને પોલીસ તંત્રના રડાર પર છે. ગૃહ વિભાગ તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે ઢોંગી બાબાના ચરણોમાં નમન કરનાર દરેક ભ્રષ્ટ અધિકારીની પોલ ખોલવામાં આવશે.