Mon Sep 07 2026

Logo

ધોનીએ સનસનાટીભરી આ સ્પષ્ટતા કરી દીધી તો પછી હવે આઇપીએલમાં કેવી રીતે રમી શકશે?

2026-09-03 16:21:02
Author: Ajay Motiwala
ધોનીએ સનસનાટીભરી આ સ્પષ્ટતા કરી દીધી તો પછી હવે આઇપીએલમાં કેવી રીતે રમી શકશે?

ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટતા કરી છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં `ઇમ્પૅક્ટ પ્લેયર' તરીકે નહીં રમે. તેણે આ ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથ સાથેની વાતચીતમાં કરી દેતાં કહી દીધું કે હવે પછી તે `ઇમ્પૅક્ટ પ્લેયર' નહીં બને. ધોનીના આ નિર્ણય પરથી હવે 2027ની આઇપીએલમાં તેના રમવા વિશેની અનિશ્ચિતતા વધી ગઈ છે. તેને ફુલ-ટાઇમ વિકેટકીપર તરીકે રમવું હોય તો તેની ફિટનેસનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બનશે.

45 વર્ષના ધોનીએ 2019-'20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી આઇપીએલમાં પણ રમવાની તેની ઇચ્છા નહોતી, પણ કરોડો ચાહકોની ડિમાન્ડને લીધે તેણે એમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. `ઇમ્પૅક્ટ પ્લેયર'ના નિયમને લીધે જ આઇપીએલમાં તેની કરીઅર લંબાઈ હતી. તેણે વર્કલૉડ ઘટાડવા આ નિયમ હેઠળ જ રમવાનું પસંદ કર્યું હતું. જોકે હવે તેણે સ્પષ્ટતા કરી છે કે તે જો આઇપીએલમાં રમવાનું ચાલુ રાખશે તો ફુલ-ટાઇમ વિકેટકીપર તરીકે જ રમશે.

એસ. બદરીનાથે પોતાની યુટ્યૂબ ચૅનલ પર કહ્યું, `ધોનીએ અંગત રીતે મને કહ્યું છે કે તે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે નહીં રમે. તે રમશે તો આખી મૅચમાં વિકેટકીપર તરીકે જ રમશે. બીજી રીતે કહીએ તો તે પૂરી 20 ઓવર ફીલ્ડિંગ કરવા ઉત્સુક છે. મને લાગે છે કે જો ધોની (Dhoni) ફુલ-ટાઇમ વિકેટકીપર તરીકે રમશે તો સીએસકેને મોટો ફાયદો જ થવાનો છે. જોકે એ માટે તેનું શરીર તેને સાથ આપશે કે કેમ એ મોટો સવાલ છે. ભૂતપૂર્વ હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ આવું કહ્યું હતું. તે મોટા ભાગે 16મી ઓવર પછી બૅટિંગ કરશે અને આખી ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરશે. મૅચમાં તેની ભૂમિકા આટલી ઓછી હોય તો પછી તેના માટે ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ જ આદર્શ કહેવાય.

જો ધોની ફુલ-ટાઇમ વિકેટકીપર તરીકે જ રમવા માગતો હોય તો સીએસકેએ 2027ની આઇપીએલ પહેલાં તેના નિર્ણય માટે લાંબો સમય રાહ જોવી પડશે. ધોનીએ 2024ની સીઝન પહેલાં કૅપ્ટન્સી છોડી હતી. સીએસકેનું સુકાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવ્યું હતું.