પૂણે : મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા બચ્યું હતું અને તેમનો જીવ બચ્યો હતો. આ ઘટના પૂણેમાં તેમના હેલિકોપ્ટરના લેન્ડિંગ સમયે ઘટી હતી. જેમાં પાયલોટની ભૂલના કારણે હેલિકોપ્ટર નિયુક્ત હેલિપેડને બદલે કાર પાર્કિંગ વિસ્તારમાં ઉતાર્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા નથી થઇ.
હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યું હતું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મંત્રી છગન ભુજબળનું હેલિકોપ્ટર મુંબઈથી પુણે જઈ રહ્યું હતું. ત્યારે પુણેમાં નિર્ધારિત હેલિપેડ પર ઉતરવાને બદલે તે નજીકના કાર પાર્કિંગ એરિયામાં ઉતર્યું હતું. જોકે, પાયલોટની ગંભીર ભૂલ છતાં હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. જોકે, આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે.
ઘટના ટોક ઓફ ટાઉન બની
ઉલ્લેખનીય છે કે, મંત્રી છગન ભુજબળ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પુણે પહોંચ્યા હતા. જોકે, તેમની મુલાકાત દરમિયાનની આ ઘટના ટોક ઓફ ટાઉન બની છે. હાલમાં, હેલિકોપ્ટર પાયલોટ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ પાસેથી આ બાબત અંગે વધુ માહિતી માંગવામાં આવી રહી છે. પાયલોટની ભૂલ ટેકનિકલ કારણોસર હતી કે માનવીય ભૂલને કારણે તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.