મુંબઈ : આઇપીએલની ચાલી રહેલી મેચ વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો મુદ્દે બીસીસીઆઇએ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સેકિયાએ કહ્યું કે આ નિયમ પર છેલ્લા બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે. તેમજ તેની સમીક્ષા આઇપીએલ 2026 સમાપ્ત થયા બાદ કરવામાં આવશે. હાલ નિયમોમા કોઇ ફેરફાર કરવામાં આવશે નહિ.
આઇપીએલના ફેન્સ આનંદ માણી રહ્યા છે
આ અંગે વધુમાં જણાવતા બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, આઇપીએલના બધા ફેન્સ મેચનો આનંદ માણી રહ્યા છે. તેમજ બોલરો પણ સારી વિકેટો મેળવી રહ્યા છે. તેમજ અનેક મેચો ઓછી સ્કોરવાળી પણ હોય છે. જ્યારે અન્ય ટીમો 260 રનના લક્ષ્યાંકને હાંસલ કરી રહી છે.

નિયમ અંગે છેલ્લા બે વર્ષથી ચર્ચા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ નિયમ અંગે ચર્ચા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ સમાપ્ત થયા બાદ અમે આ બાબતની સમીક્ષા કરીશું. અમે ટુર્નામેન્ટની મધ્યમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી. મેં ક્યારેક મીડિયામાં આ વિશે વાંચ્યું છે. જો કે, જો ભાગ લેતી ટીમો તરફથી આવી કોઈ વિનંતી મળે, તો અમે નિર્ણય લેવા માટે બંધાયેલા રહીશું. પરંતુ અત્યાર સુધી, આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી.
આ નિયમના પગલે ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ઘટી
આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો લાગુ થયા બાદ હાઇ-સ્કોરિંગ મેચોની સંખ્યામાં વધારો થયો છે. તેમજ મેચમાં 250 રનનો સ્કોર સામાન્ય હતો. તેમજ ફ્લેટ પિચ અને આ નિયમના લીધે બોલરો પણ દબાણ વધ્યું છે. તેમજ આ આ નિયમના પગલે ઓલરાઉન્ડરની ભૂમિકા ઓછી થઈ ગઈ છે. તેમજ અલગ અલગ ટીમો હવે સરળતાથી બેટ્સમેન અથવા બોલરને મેદાનમાં ઉતારી શકે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ નિયમથી નાખુશ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ નિયમનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું આ નિયમને વધુ પસંદ નથી કરતો. આ નિયમની અસર ઓલરાઉન્ડર પર પડશે. તેમજ ક્રિકેટ 12 નહિ 11 પ્લેયરની રમત છે. મારું માનવું છે કે ટોપ લેવલ પર ક્રિકેટમાં આ પ્રકારનો દબદબો ના હોવો જોઇએ. બેટ અને બોલ વચ્ચે સંતુલન હોવું જોઇએ. ત્યારે વિરાટ કોહલીએ પણ રોહિત શર્માની વાતને ટેકો આપ્યો હતો. મનોરંજન એ રમતનું એક પાસું છે પરંતુ સંતુલન જરૂરી છે. આ નિયમથી રમતનું સંતુલન ખોરવાયું છે તે હું નહિ અનેક લોકો અનુભવી રહ્યા છે.