ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા 7મી જૂન 2026ના રોજ યોજાનારી જાહેરાત ક્રમાંક 3,4,5 અને 6/2026-27 ની સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રાથમિક કસોટી અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા સવારે 11.00 થી બપોરે 02.00 વાગ્યા દરમિયાન યોજાનારી આ પરીક્ષામાં ભાગ લેનારા તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેથી તેઓ કોઈપણ અસુવિધા વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકે.
GPSC તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ રાજ્યવ્યાપી પરીક્ષામાં કુલ 75,487 ઉમેદવારો નોંધાયા છે, જે પૈકી 826 ઉમેદવારો દિવ્યાંગ શ્રેણીના છે. આ દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ભોયતળિયે જ વર્ગખંડની સુવિધા
જેમાં તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે લિફ્ટની સુવિધા ધરાવતા અથવા ભોયતળિયે જ વર્ગખંડની સુવિધા હોય તેવા જ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત લહિયાની પૂર્વ મંજૂરી મેળવનાર ઉમેદવારો માટે અલગથી અનામત વર્ગખંડો રાખવામાં આવ્યા છે, જ્યાં પ્રત્યેક વર્ગખંડ દીઠ એક ખાસ વર્ગખંડ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે.
વાહનને પરીક્ષા કેન્દ્રના રેમ્પ સુધી લઈ જવાની મંજૂરી
તેમજ સામાન્ય નિયમ મુજબ ઉમેદવારોના ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ, દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં ખાસ છૂટછાટ આપીને તેમના વાહનને પરીક્ષા કેન્દ્રના રેમ્પ સુધી લઈ જવાની મંજૂરી અપાશે, જેથી ઉમેદવાર સરળતાથી પ્રવેશ મેળવી શકે. ઉમેદવારને સુરક્ષિત રીતે ઉતાર્યા બાદ, પરીક્ષાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તે વાહનને કેમ્પસની બહાર પાર્ક કરવાનું રહેશે.
દરેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષક કક્ષાના બે 'દિવ્યાંગ મિત્રો
આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર પૂરતી સંખ્યામાં વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોની સગવડ માટે દરેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષક કક્ષાના બે 'દિવ્યાંગ મિત્રો' (1 સ્ત્રી અને 1 પુરુષ ઉમેદવાર દીઠ) તૈનાત રહેશે. આ દિવ્યાંગ મિત્રો ઉમેદવારોને તેમની બેઠક વ્યવસ્થા સુધી પહોંચાડશે અને જેઓ ચાલી શકતા નથી તેમને વ્હીલચેરમાં બેસાડી વર્ગખંડ સુધી પહોંચાડશે. જો દિવ્યાંગ મિત્રોની સેવા અપૂરતી જણાય, તો કેન્દ્ર સંચાલક અન્ય શિક્ષકો કે પટાવાળાની પણ મદદ લઈ શકશે તેવી સૂચના આયોગ દ્વારા આપવામાં આવી છે.
દિવ્યાંગ ઉમેદવારોને કુલ 60 મિનિટ વધારાનો સમય અપાશે
જે દિવ્યાંગ ઉમેદવારો હાથ અથવા પગમાં કેલિપર્સ પહેરે છે, તેઓને કેન્દ્ર પર પૂરતી સુરક્ષા ચકાસણી કર્યા બાદ તે કેલિપર્સ વર્ગખંડની અંદર પહેરીને જવાની સંપૂર્ણ પરવાનગી આપવામાં આવશે. તેમજ આયોગની પૂર્વ મંજૂરી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને નિયમ અનુસાર 1 કલાક દીઠ 20 મિનિટનો વધારાનો વળતર સમય આપવામાં આવશે. એટલે કે, ૩ કલાકની આ પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોને કુલ 60 મિનિટ (1 કલાક)નો વધારાનો સમય મળવાપાત્ર થશે.
'હિયરિંગ એડ' વાપરવાની મંજૂરી
શ્રવણની ખામીવાળા ઉમેદવારો પરીક્ષાની શરૂઆતમાં વર્ગખંડ નિરીક્ષક કે સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી મહત્વની સૂચનાઓ સાંભળી શકે તે માટે, માત્ર સૂચના આપવાના સમય દરમિયાન જ 'હિયરિંગ એડ' વાપરવાની મંજૂરી અપાશે. સૂચનાઓ પૂર્ણ થયા બાદ આ મશીન તુરંત જ સુપરવાઇઝર પાસે જમા કરાવવાનું રહેશે.
પરીક્ષા શરૂ થતાં પહેલાં કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર નીકળતી વખતે ભીડ કે અફરાતફરીથી બચવા માટે દિવ્યાંગ ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.