Wed Aug 19 2026

Logo

ગિરિરાજ સિંહે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા: સોશિયલ મીડિયા પર શું લખ્યું જાણો

2026-08-02 17:59:47
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કેન્દ્રીય વસ્ત્રોદ્યોગ ખાતાના પ્રધાન ગિરિરાજ સિંહે આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઈલોરા ખાતે આવેલા પ્રસિદ્ધ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ તેના અંગે મહત્ત્વની પોસ્ટ લખી હતી. ઉત્તર ભારતના શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટી રહ્યા છે. ઘૃષ્ણેશ્વર મંદિર દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી અંતિમ મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ તરીકેની ખ્યાતિ ધરાવે છે અને પ્રદેશના સૌથી પ્રાચીન શિવ મંદિરોમાંનું એક છે.

મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન ગિરિરાજ સિંહે રાજ્યના કપાસ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ હિતધારકો સાથે પણ બેઠક યોજી હતી. બેઠકમાં કપાસનું ઉત્પાદન, ગુણવત્તા, માર્કેટિંગ તેમ જ બંધ જગ્યામાં આધુનિક પદ્ધતિથી થતી કપાસની ખેતી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેમણે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના 56મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

પોતાની મુલાકાત દરમિયાન ગિરિરાજ સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ )ના સ્થાનિક કાર્યાલયની મુલાકાત લઈને સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તેમણે લખ્યું હતું કે, "શ્રાવણના પવિત્ર મહિનામાં મહારાષ્ટ્ર સ્થિત શ્રી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ભગવાન ભોલેનાથને દરેકના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ આરોગ્ય અને સમૃદ્ધિ માટે મેં પ્રાર્થના કરી હતી."

અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર મુજબ, ગિરિરાજ સિંહની મહારાષ્ટ્ર મુલાકાતનો મુખ્ય હેતુ મહારાષ્ટ્રના કપાસ ઉદ્યોગના અગ્રણીઓ અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ અને સૂચનો જાણવાનો હતો. તેમણે કપાસ ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે નવી ટેકનોલોજી, ગુણવત્તા સુધારણા અને બજાર વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

કેન્દ્ર સરકાર કપાસ ઉત્પાદકો અને ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પહેલો પર કામ કરી રહી હોવાની માહિતી પણ તેમણે આપી હતી. (પીટીઆઈ)