Tue Aug 18 2026

Logo

અનરાધાર વરસાદ છતાં ચંદ્રપુર જિલ્લાના ડેમ ખાલીખમ: જાણો શું છે સ્થિતિ

2026-08-06 16:54:41
Author: Mumbai Samachar Team
Article Image

ચંદ્રપુર: દેશના મોટા ભાગના રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે એકંદરે પાણીની અછત દૂર કરી છે. સાર્વત્રિક વરસાદના લીધે જળાશયો પણ પાણીથી છલકાઈ ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચંદ્રપુર જિલ્લાનું એક પણ જળાશય ઓગસ્ટ મહિનામાં પણ તેની 100 ટકા ક્ષમતા સુધી ભરાયો નથી. તાજેતરમાં પડેલા ભારે વરસાદ છતાં જિલ્લાના તમામ જળાશયો હજુ પણ ખાલીખમ છે અને નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના અન્ય વિસ્તારોની સાથે આ જિલ્લામાં પણ અલનીનોની અસર વર્તાવાની અને પરિણામે અનિયમિત વરસાદ થવાની શક્યતા હતી. જૂન મહિનો ચોમાસા વિના જ વીતી ગયો અને જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો હતો, ત્યારે મહિનાના છેલ્લા સપ્તાહમાં ચોમાસું આખરે પૂરા જોશ સાથે બેઠું હતું. 

નદીઓના જળસ્તરમાં વધારો

જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના પરિણામે જિલ્લાના નદીકાંઠાના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવી અપેક્ષા હતી કે ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદ બાદ જિલ્લાના તમામ જળાશયોની સ્થિતિમાં સુધારો થશે અને તે તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જશે અથવા તો છલકાઈ જશે.

જોકે, આંકડા દર્શાવે છે કે જિલ્લાના તમામ જળાશયો હજુ પણ સૂકા છે. જિલ્લામાં કુલ દસ જળાશયો આવેલા છે, જેમાં અમલનાલા, ઘોડાઝરી, નલેશ્વર, ચંદઈ, ચારગાંવ, લભનસારડ, અસોલમેંધા, પાકડીગુડ્ડમ, ડોંગરગાંવ અને ઈરાઈનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, જુલાઈના અંત સુધીમાં આ જળાશયો કાં તો પૂરેપૂરા ભરાઈ જાય છે અથવા તેમની જળ સંગ્રહક્ષમતાના 75 ટકાથી વધુ પાણી ધરાવતા હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ અપવાદરૂપ રહી છે. 

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં જિલ્લાના માત્ર બે જ જળાશયો ડોંગરગાંવ અને ચારગાંવ 75 ટકાથી વધુ જળસંગ્રહ સ્તર સુધી પહોંચી શક્યા છે. બાકીના જળાશયોમાં પાણીનું સ્તર ઘોડાઝરી માટે 29 ટકા, નાલેશ્વર માટે 42 ટકા, ચંદાઈ માટે 51 ટકા, લભનસરાડ માટે 59 ટકા, અસોલમેંઢા માટે 48 ટકા અને પકડીગુડ્ડમ માટે 72 ટકા નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈના અંત સુધીમાં નાલેશ્વર, ચંદાઈ, ચારગાંવ અને લભનસરાડ જળાશયો 100 ટકા ક્ષમતા સુધી ભરાઈ ગયા હતા.

ઘોડાઝરી પણ 95 ટકા ભરાયેલું હતું. અન્ય જળાશયોની સ્થિતિ પણ 70 ટકાના સ્તર પર અથવા તેની નજીક હતી. જોકે, ઈરાઈ ડેમની વર્તમાન સ્થિતિ જે ચંદ્રપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે અને મહાજેન્કોના સ્થાનિક પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પાદન માટે વપરાય છે તે તાજેતરના વર્ષોની સરખામણીમાં એટલી સારી નથી. આ ડેમ હાલમાં માત્ર 69 ટકા ભરાયેલો છે, જ્યારે ગયા વર્ષે આ તારીખ સુધીમાં તે તેની ક્ષમતાના 75 ટકાથી વધુ ભરાઈ ગયો હતો.