દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે ટેલીફોનિક વાતચીત કરી, હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ ચર્ચા
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ટેલીફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ તેમને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમજ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ ચર્ચા કરી હતી.
સલમાન આગા આઉટ જ હતો, અમ્પાયરનો નિર્ણય ખોટો નહોતોઃ એમસીસી
ક્રિકેટના કાયદા ઘડતી બ્રિટિશ સંસ્થા મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ જણાવ્યું છે કે `તાજેતરમાં પાકિસ્તાનના સલમાન આગાને રનઆઉટ આપવાનો અમ્પાયરનો નિર્ણય ક્રિકેટના કાયદા અનુસાર જ હતો અને એ સાચો નિર્ણય હતો.' રિઝવાનના શૉટમાં બૉલ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ક્રીઝની બહાર ઊભેલા સલમાન પાસે આવ્યો અને તે નીચે નમીને બૉલ લઈને બાંગ્લાદેશના બોલર મિરાઝને આપવાના પ્રયાસમાં હતો ત્યારે ખુદ મિરાઝે તેને હડસેલીને બૉલ પોતાના કબજામાં લીધો હતો અને અન્ડરઆર્મ ઍક્શનમાં તેને રનઆઉટ કરી દીધો હતો.

કોંગ્રેસસાંસદ રાજીવ શુકલાએ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ગૃહમાં કટાક્ષ કર્યો, વિડીયો વાઈરલ
દેશમાં સંસદની કાર્યવાહી દરમિયાન અનેક વાર રમુજી દ્રશ્યો અને હોબાળો જોવા મળે છે. ત્યારે આજે સંસદમાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુકલાએ વિનિયોગ બિલ પર બોલતી વખતે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર તેમની રમુજી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. જેના લીધે સમગ્ર ગૃહમાં હાસ્ય રેલાયું હતું. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્વ વચ્ચે ચીન ખુલીને સામે આવ્યું, કહ્યું તે પ્ર્ભાવિત દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડશે
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનની પ્રતિક્રિયા આવી છે. જેમાં ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે ઈરાન, લેબનોન અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષથી ગંભીર રીતે પ્રભાવિત બે અન્ય પશ્ચિમ એશિયાઈ દેશોને કટોકટીમાં માનવતાવાદી સહાય પૂરી પાડશે.
ટ્રમ્પના સિનિયર અધિકારીનું રાજીનામું
ઈરાન સામેના યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પોતાની ટીમના સૌથી સિનિયર અધિકારી જો કેન્ટેએ રાજીનામું આપ્યું છે. ટ્રમ્પની પોલિસી પર સવાલ ઊઠાવતા કહ્યું કે ઈરાનના સામેના યુદ્ધમાં મારું ટ્રમ્પને સમર્થન નથી. ઈરાનથી અમેરિકાને કોઈ ખતરો નહોતો. આ યુદ્ધ ઈઝરાયલના દબાણમાં કર્યું હોવાનો દાવો કર્યો.
હીરા જડેલાં ચાંદીના આભૂષણો પર સરકારે આયાત નિયંત્રણો મૂક્યાં
ગત સોમવારે મોડી સાંજે સરકારે સસ્તા હીરા જડીત ચાંદીનાં આભૂષણોની આયાત પર આગામી 30મી જૂન સુધી નિયંત્રણો લાદ્યાં હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. સરકારે આયાત નીતિમાં ફેરફાર કરીને ઉક્ત ચીજોને મુક્ત શ્રેણીમાંથી દૂર કરીને આગામી 30મી જૂન, 2026 સુધી નિયંત્રિત ચીજોની યાદી હેઠળ મૂકવામાં આવી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આસિયન દેશોથી ચાંદીની થતી આયાતને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લારિજાનીને અમે ફ્રીમાં માર્યોઃ નેતન્યાહુનો નવો દાવો
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમે ઈરાનના સેકન્ડ મેન લરિજાનીને મારી નાખ્યો છે. હજુ આગળ પણ આક્રમક હુમલા કરવામાં આવશે. નેતન્યાહુએ કહ્યું કે લારિજાનીના નામે 10 મિલ્યન ડોલરનું ઈનામ હતું, પણ અમે એને ફ્રીમાં હણ્યો છે.
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનું આક્રમક વલણ, કહ્યું હાલ શાંતિ માટે યોગ્ય સમય નથી
મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 18મો દિવસ છે. ત્યારે આ યુદ્ધ સમાપ્ત થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. આ દરમિયાન ન્યુઝ એજન્સીએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ વિદેશ નીતિ બેઠક દરમિયાન કહ્યું હતું કે શાંતિ માટે અત્યારે કોઈ યોગ્ય સમય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલને હરાવવા જરૂરી છે.તેમની પાસેથી વળતર વસૂલવું જોઈએ.
ગુજરાતના ભરતી કેલેન્ડર મુજબ 10 વર્ષમાં બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે
ગુજરાત વિધાનસભમાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે રોજગારીના ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર (2024-33) અમલમાં મૂક્યું છે. જે અંતર્ગત વિવિધ વિભાગોની 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન છે
પ. બંગાળમાં ટીએમસીએ 291 ઉમેદવારની યાદી બહાર પાડી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે, જ્યાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી બહાર પાડ્યા પછી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ પોતાના 291 ઉમેદવાર જાહેર કર્યા છે. મમતા બેનરજીએ ભવાનીપુરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત.
હરિયાણામાં કોંગ્રેસ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને શો-કોઝ નોટિસ આપશે
કોંગ્રેસ રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ઓડિસામાં ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ પાર્ટી હવે હરિયાણામાં કડક પગલા લેવા જઈ રહી છે. જેમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને શો-કોઝ નોટિસ આપવામાં આવશે. તેમજ આ અંગે ખુલાસો માંગવામાં આવશે.
એલપીજી ગ્રાહકો માટે નવો નિયમ લાગુ, સિલિન્ડર બુકિંગ માટે e-KYC ફરજિયાત
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના લીધે દેશમાં એલપીજીની સપ્લાઈ ચેનને અસર થઇ છે. જેના પગલે કેન્દ્ર સરકારે એલપીજીની વધતી માંગ અને સપ્લાઈ સિસ્ટમને સુધારવાના અનેક પગલાંઓ લીધા છે. જેમાં સરકારે તત્કાલ અસરથી અનેક નિયમોમાં બદલાવ કર્યો છે. જેમાં હવે ઘરેલુ એલપીજી ગ્રાહકો માટે આધાર કાર્ડથી e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ જ્યાં સુધી e-KYC પૂર્ણ નહિ થાય ત્યાં સુધી સિલિન્ડર બુકિંગ અને સબસીડી બંનેને અસર થઇ શકે છે.
ઈરાનના ટોચના અધિકારી અલી લારિજાની પર ઈઝરાયલનો હુમલો
ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા પછી બીજા નંબરના સૌથી શક્તિશાળી અધિકારી અલી લારિજાનીના ઠેકાણા પર ઈઝરાયલએ હુમલો કર્યો છે. જોકે, લારિજાનીનું મોત થયું કે નહીં એ હજુ સુધી માહિતી મળી નથી. લારિજાની ઈરાનની સર્વોચ્ચ સુરક્ષા પરિષદના સચિવ પણ છે.
ભારત પહોંચ્યું નંદા દેવી જહાજ
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી શિવાલિક જહાજ સુરક્ષિત રીતે પસાર થયા પછી, બીજું એક LPG ટેન્કર, નંદા દેવી, ભારતમાં આવી પહોંચ્યું છે. નંદા દેવી વાડીનાર બંદર પર પહોંચી ગયું છે, જે 47,000 મેટ્રિક ટનથી વધુ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સાથે લઈને આવ્યું છે. મધ્ય પૂર્વમાં વધતા જતા સંકટ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થનાર આ બીજું જહાજ છે.
24 માર્ચે સરકાર વિધાનસભામાં લાવશે UCC બિલ
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં સરકારી બિલ અંગે ચર્ચા થવાની છે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.
નંદાદેવી LPG કેરિયર જહાજ જામનગર પહોંચ્યું
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા થયેલા હુમલામાં ભારતમાં ક્રુડ ઓઈલ અને રાંધણ ગેસ સહિતના પુરવઠાની તંગી સર્જાઈ છે. જેથી ગેસનો પુરવઠો લઈને બે જહાજ ભારતમાં પહોંચી ગયા છે. જામનગરના વાડીનારના દરિયામાં નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે. બે દિવસમાં બે જહાજ LPG ગેસ લઈને ભારત પહોંચ્યા છે. નંદાદેવી LPG કેરિયર જહાજ ગુજરાતના જામનગર ખાતે આવેલ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે.
ગોધરા-વડોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત
પંચમહાલ જિલ્લામાં ગોધરા–વડોદરા હાઈવે પર ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, ટ્રેલર અને વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GRD જવાન સહિત બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાનમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે
અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર પાકિસ્તાનનો હુમલો
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ અફઘાનિસ્તાને લગાવ્યો છે. પાકિસ્તાન સાથે સરહદ પારથી વધતા તણાવ વચ્ચે પાકિસ્તાન દ્વારા કાબુલની હોસ્પિટલ પર હુમલો થયો છે. જેમાં અંદાજે 400 લોકો મોત થયા હોવાની વિગતો છે.