અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગની ચાંદખેડાના ઝુંડાલ નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની પત્નીએ આ મામલે પોલીસને જણાવ્યું હતું કે, મારા પતિને પ્રેમસંબંધ અને પૈસા માટે બ્લેકમેલ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. હુમલાખોરોએ યુવકની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે જીવલેણ ઘા માર્યા હતા. જેના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી. હત્યાના આરોપીએ માસી સાથે શરીર સંબંધ રાખતા યુવકને પતાવી દીધો હતો.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, માસી સાથે 5 વર્ષથી આડા સંબંધ ધરાવતા યુવકને ભાણિયાએ છરીના 7-8 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. મુંબઈની મહિલા સાથે આડા સંબંધ ધરાવતા યુવકે મહિલાને ઝુંડાલમાં 2 મહિનાથી પડે ફલેટ અપાવ્યો હતો. 2 દિવસ પહેલા યુવક મહિલાના ઘરે આવ્યો. ત્યારે ત્યાં મહિલાનો ભાણિયો. હોવાથી બંને વચ્ચે ઝઘડો થતાં ભાણિયાએ યુવકને છરીના 2 ઘા મારતા, જીવ બચાવવા ભાગતા યુવકને પકડીને ભાણિયાએ બીજા 5 ઘા માર્યા હતા.
મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, કે, તેઓ પેથાપુરમાં રહેતા હતાં અને પતિ ડુક્કર પકડવાનું કામ કરતો હતો. પતિને મુંબઈની એક મહિલા સાથે આડા સંબંધ હતા. પતિએ ઘટના સ્થળ પાસે 2 મહિના પહેલા આ મહિલાને ભાડે ફ્લેટ અપાવ્યો હતો. 12 મેએ પતિ ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ પાછો આવ્યો નહોતો અને તેનો ફોન પણ બંધ હતો. પોલીસે મહિલાની અટકાયત કરી પૂછપરછ આદરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, હત્યા તેની બહેનના દીકરા માનસિંગ ઉર્ફે બાદલસિંગ ટાંક અને સુરજીત ઉર્ફે ટેટો કાબસિંગ ટાંકે કરી હતી. બંને વચ્ચે ડુક્કર પકડવા બાબતે અને તે મુંબઈ રહેતી હતી ત્યારે પણ ઝઘડો થયો હતો. જેની અદાવતમાં આ ખેલ ખેલાયો હતો.
પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા યુવક હત્યા બાદ મહિલા ઘરેથી કાલુપુર રેલ્વે સ્ટેશનથી વડોદરા અને ત્યાંથી ટ્રેનમાં મહેમદાવાદ માતા-બહેનના ઘેર ગઈ હતી. પોલીસ તેને ત્યાંથી લઈ આવી હતી. જ્યારે માનસિંગ મુંબઈમાં એક રિક્ષાચાલકની હત્યાના ગુનામાં થાણે જેલમાં હતો. હાલ તે જામીન પર છૂટી બહાર આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, દેશભરમાં પ્રેમ પ્રકરણને લગતી હત્યાઓમાં ગુજરાત ટોપ પર છે. વર્ષ 2024માં ગુજરાતમાં દેશના સૌથી વધુ ગુનાઓ નોંધાયા હતા, વર્ષ દરમિયાન 6.15 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 'ક્રાઈમ ઇન ઇન્ડિયા 2024' ના તાજેતરના અહેવાલમાં વધતા જતા શહેરી ગુનાઓ, સાયબર ફ્રોડ અને પ્રેમ પ્રકરણોને કારણે થતી હત્યાઓની આઘાતજનક વિગતો રજૂ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, પ્રેમ પ્રકરણને કારણે થતી હત્યાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. વર્ષ 2024 માં રોમેન્ટિક સંબંધો, ગેરકાયદેસર સંબંધો અથવા સંબંધોના વિવાદોને કારણે કુલ 144 હત્યાના કેસો નોંધાયા હતા, જેના પરથી અંગત વિવાદો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું હતું.