કુદરતની કરામત ખૂબ જ ન્યારી છે અને આવી આ કુદરતે જ આપણને અસંખ્ય સુંદર ફૂલોની ભેટ આપી છે. આપણી આસપાસમાં બગીચામાં કે છોડ પર જોવા મળતાં ફૂલો માત્ર તેમની સુગંધ માટે જ નહીં, પણ સજાવટ અને પૂજા પાઠ માટે પણ અનિવાર્ય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે ફૂલોમાં મીઠો રસ અને સુગંધ હોય, ત્યાં પતંગિયા અને ભમરા સતત મંડરાતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફૂલ પણ છે જે દેખાવમાં અત્યંત સુંદર અને સુગંધિત હોવા છતાં, ભમરો ક્યારેય તેની ઉપર બેસતો નથી? ચાલો તમને આજે આ સ્ટોરીમાં આ પાછળનું કારણ જણાવીએ...

કયું છે આ ફૂલ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચંપા (Champa) એ એક એવું ફૂલ છે જેનાથી ભમરા અને પતંગિયા હંમેશા દૂર રહેવાનું પસંદ કરે છે. તમે જોયું હશે તો તમારી આસપાસમાં આવેલા બગીચાઓમાં કે ઘરની આસપાસ ખીલેલા ચંપાના ફૂલોની સુગંધ દૂર-દૂર સુધી ફેલાયેલી હોય છે, છતાં ભમરો આ ફૂલની નજીક આવવવાનું કે તેના પર બેસવાનું ટાળે છે.
ભમરો કેમ નથી બેસતો?
ચંપાના ઝાડ પર ભમરો કે પતંગિયા કેમ નથી બેસતાં એની તો નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, આની પાછળ બે મુખ્ય કારણો છે. ચંપાના ફૂલોમાં પરાગ હોતું નથી. ભમરા અને મધમાખીઓ ફૂલો પર પરાગ અને મધ એકત્રિત કરવા માટે બેસતા હોય છે, પરંતુ ચંપામાં તે ન હોવાથી તેમને ત્યાં કશું મળતું નથી. ચંપાના ફૂલોની સુગંધ ખૂબ જ તેજ હોય છે, પરંતુ તેમાં એક અલગ પ્રકારની ગંધ હોય છે જે ભમરા, મધમાખી કે તતૈયાને આકર્ષિત કરતી નથી.
ચંપાના ફૂલની વિશેષતાઓ વિશે વાત કરીએ તો ભલે ભમરા તેના પર ન બેસતા હોય, પણ ચંપાનું ઝાડ અને ફૂલ ખૂબ જ ઉપયોગી છે. મળતી માહિતી અનુસાર ચંપાના ફૂલો અને તેના તેલનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ અને અત્તર (પરફ્યુમ) બનાવવામાં થાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચંપાના છોડને ઘરમાં ઉગાડવો સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય વાત કરીએ ચંપાના ઝાડની ખાસિયત વિશે તો આ ઝાડ હંમેશા લીલુંછમ રહે છે અને તેના ફૂલો મુખ્યત્વે 5 પ્રકારના હોય છે, જે દેખાવમાં અત્યંત મનમોહક હોય છે.