ઇસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે 14 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અસર વિશ્વભર ફેલાઈ છે. પાકિસ્તાનમાં તેલ કટોકટીએ આર્થિક પીઠને તોડી નાખી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે સરકારી કંપનીઓ અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓના વેતનમાં 5થી 30 ટકા સુધી કટોતીને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનની હાલત પહેલેથી જ ખરાબ ચાલી રહી હતી, તેવામાં હવે તેલના કારણે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે.
મધ્યપૂર્વના યુદ્ધની પાકિસ્તાન પર માઠી અસર
પાકિસ્તાનમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેલના વધતા ભાવોના આર્થિક અસરોની સમીક્ષા કરવામાં આવી. પાકિસ્તાન PMOના નિવેદન મુજબ, પેટ્રોલ-ડીઝલના ઉતાર-ચઢાવ અને સરકારી ખર્ચ ઘટાડવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે કે, સરકારી કર્મચારીઓની જેમ સરકારી કંપનીઓ અને સ્વાયત્ત સંસ્થાઓના વેતનમાં 5-30% કટોતી કરવામાં આવશે. પાક વડાપ્રધાન દ્વારા પણ તેને મંજૂરી આપી દેવામાં આવી છે.
પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ લિટર દીઠ 55 રૂપિયાનો વધારો
કટોતીથી થતી બચત ફક્ત જન કલ્યાણ માટે વપરાશે, એવું પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા શુક્રવારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ લિટર દીઠ 55 રૂપિયા વધ્યા, જેના કારણે આ પગલું જરૂરી બન્યું. સરકારી વાહનોના તેલ વિતરણમાં 50% કટોતી થર્ડ-પાર્ટી ઓડિટથી થશે. આગામી બે મહિનામાં 60% સરકારી વાહનો દૂર કરાશે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની પાકિસ્તાન પર માઠી અસર જોવા મળી છે. અત્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે. તેના કારણે જ અત્યારે આવા નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.