જબલપુર : ભોપાલના બહુચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે.જેમાં આત્મહત્યા બાદથી ભાગતા ફરતા તેના પતિ સમર્થ સિંહે જબલપુર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેની બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ પૂર્વે પોલીસે સમર્થ સિંહને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. જોકે, કોર્ટમાં આત્મ સમર્પણ કરવા આવેલા સમર્થ સિંહને તેમના વકીલો દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું. સમર્થ સિંહે હાલમાં કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો
સમર્થ સિંહ માટે રૂપિયા 30,000 નું ઈનામ હતું
ટ્વિશા શર્માના પતિ સમર્થ સિંહ માટે રૂપિયા 30,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.તેમજ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આ પહેલા સમર્થ સિંહના વકીલે જબલપુર કોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કારણ કે આ કેસ ભોપાલ સાથે સંબંધિત છે. તેથી તેમણે ભોપાલમાં આત્મસમર્પણ કરવું જોઈએ.
હાઈકોર્ટે ટ્વિશા શર્માના બીજા પોસ્ટમોર્ટમનો નિર્દેશ આપ્યો
આ પૂર્વે આજે મધ્યપ્રદેશ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ટ્વિશા શર્માનું બીજું પોસ્ટમોર્ટમ દિલ્હીના એઈમ્સના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવે. ટ્વિશા શર્માનું તાજેતરમાં જ ભોપાલમાં તેના સાસરીમાં લગ્નના માત્ર પાંચ મહિના બાદ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. ટ્વિશા શર્માના મૃત્યુ બાદ તેનો પતિ સમર્થ સિંહ 12 મેની રાતથી ફરાર હતો. પીડિતાના પરિવારના સભ્યોએ તેના પતિ સમર્થ સિંહ અને તેની સાસુ, ગિરીબાલા સિંહ સામે દહેજ માટે ઉત્પીડન, તેમજ માનસિક અને શારીરિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે.