(મુંબઈ સમાચાર ટીમ )
સુરત: સુરતની એક હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીનું હાર્ટ સર્જરી બાદ મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મૃતક બાળકીના પરિવારજનોએ હોસ્પિટલના તબીબી તંત્ર સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં ઓપરેશન કરનાર ડો. વિશાલ અગ્રવાલે પરિવાર સાથે બાળકીના મૃત્યુ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી આપી.
પરિવારે બેદરાકરીનો આક્ષેપ કર્યો
જેની બાદ પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બાળકીને તપાસવા આવેલી નર્સે સ્થિતિ ગંભીર હોવા છતાં પરિવારને તાત્કાલિક જાણ કરવાને બદલે સિક્યોરિટી સ્ટાફને બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી જતી રહી હતી.
પોલીસે પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી
જ્યારે પરિવારની ફરિયાદના આધારે પોલીસે નિવેદનો નોંધ્યા હતા અને હોસ્પિટલના સારવાર સંબંધિત દસ્તાવેજો, મેડિકલ રેકોર્ડ તેમજ સંબંધિત સ્ટાફની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ સમગ્ર મામલે કિરણ હોસ્પિટલ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ડોક્ટરોએ હાર્ટ સર્જરી કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકીને હૃદય સંબંધિત તકલીફ હોવાથી શહેરની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ હાર્ટ સર્જરી કરી હતી અને તેમણે સર્જરી સફળ રહી હોવાનું પરિવારને જણાવ્યું હતું. જોકે, સર્જરીના થોડા જ સમય બાદ બાળકીની તબિયત બગડી અને અંતે તેનું મોત થયું હતું.