Tue Jun 16 2026

Logo

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે શિક્ષકો કરશે આંદોલન, ટીઈટીમાંથી મુક્તિની માગ

2026-06-16 21:02:28
Author: Pooja Shah
Article Image

AI Generated Images


અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) ફરજિયાત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયનો વિરોધ કરવાની જાહેરાત શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બનનેએ કરી છે. આજથી 20મી જૂન સુધી શિક્ષકો આ નિર્ણયનો વિરોધ કરવા આંદોલન પર ઉતરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટીઈટી પરીક્ષા ફરજિયાત કરવાનો ચુકાદો આપ્યો છે, જ્યારે શિક્ષકોએ માગણી કરી હતી કે 2010 પહેલાના શિક્ષકોને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટે જેમની નોકરીને પાંચ વર્ષ કરતા વધુ સમય બાકી છે તે તમામ માટે પરીક્ષા ફરજિયાત કરવા જણાવ્યું છે. જેમણે પણ નોકરી ચાલુ રાખવી હોય કે પ્રમોશન જોઈતું હોય તે તમામ  માટે આ નિયમ ફરજિયાત છે. 

રાજ્યભરના 33 જિલ્લાઓમાં આવતીકાલ(17 જૂન)થી 3 દિવસ(20 જૂન) સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપશે અને 20મી જૂને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે, તેમ જાણવા મળ્યું હતું. સોમવારે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી કાઢી પોતાની માગણી સંતોષવા માટે રજૂઆત કરી હતી. ત્યારે હવે શિક્ષકો પોતાની માગણી લઈને આંદોલન કરવા તૈયાર થઈ ગયા છે.