Tue Jun 23 2026

Logo

રાહુલ નાર્વેકરના વાયરલ વીડિયો અંગે રાજ ઠાકરેએ મરાઠી ભાષા મુદ્દે લીધા આડે હાથ

2026-06-23 20:27:18
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર ગૃહમાં શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ વાંચી રહ્યા છે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની લોકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ વીડિયો અંગે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ પણ રાહુલ નાર્વેકર પર આકરા પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે નાર્વેકરે વિધાનસભામાં મરાઠી ભાષાને રસ્તા પર લાવીને તેના પર બેજવાબદાર બુલડોઝર ચલાવ્યું હતું.

રાજ ઠાકરેએ સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ આશાતાઈ ભોંસલે માટે શોક પ્રસ્તાવ રજૂ કરતી વખતે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જે રીતે મરાઠી ભાષાની ચીરફાડ કરી તેથી, ગુસ્સો અને નિરાશા બંને વ્યક્ત કરી, અને નોંધ્યું કે તેઓ કાગળ પર લખેલું મરાઠી લખાણ પણ વાંચી શકતા નથી. 

રાજ ઠાકરેએ આગળ ટિપ્પણી કરી કે જો નાર્વેકરે સ્વાહિલી અથવા હિબ્રુમાં પ્રસ્તાવ રજૂ કર્યો હોત તો પણ સારું થાત કારણ તેમનું મરાઠી કોઈ સમજ્યું નહીં, અને સ્વાહિલી કે હિબ્રુ તો આપ પણ કોઈ ન સમજી શકત. બીજું દુ:ખદ પાસું એ કે જ્યારે નાર્વેકર દીનાનાથ મંગેશકરનો ઉલ્લેખ "દીનદયાળ મંગેશકર" તરીકે કરી રહ્યા હતા અને મરાઠી લખાણને આડેધડ રીતે વાંચી રહ્યા હતા, ત્યારે ગૃહમાં હાજર એક પણ ધારાસભ્યએ વાંધો ઉઠાવવાની તસ્દી લીધી નહીં. નાર્વેકર દીનાનાથ મંગેશકર કે દીનદયાળ ઉપાધ્યાયથી પરિચિત નથી? ભાજપની આડેધડ ભરતીની નીતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થઇ છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાજ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ગૃહમાં હાજર હતા કે નહીં, પણ જો તેઓ હાજર હોત તો પણ, મને નથી લાગતું કે તેનાથી તેમને કોઈ ફરક પડ્યો હોત. ફડણવીસ - જે ઘણીવાર "ગુલાબી આંખે જો તેરી દેખી" (પોતાની વિચિત્ર શૈલીમાં) જેવા ગીતો ગાય છે. 

તેમણે આજે રાજ્ય વિધાનસભામાં કયા મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને પ્રસંગની ગંભીરતાને સમજવી જોઈતી હતી! અને શ્રી એકનાથ શિંદેને પણ આ અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. મરાઠી ભાષાના અભ્યાસ અંગેનું તેમનું 'વિમાન' પચાસ હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું હોવાથી, તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી!

આજે આપણા મહારાષ્ટ્રની આ હાલત છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ કાગળ પર લખેલું મરાઠી લખાણ વાંચી શકતા નથી; આવા ગૃહમાં મરાઠી ભાષા પ્રત્યે શું વલણ હોઈ શકે છે, અથવા મરાઠી ભાષાનું ગળું દબાવવા સામે તે શું પગલાં લેશે?