પુણે: પુણેમાં 65 વર્ષના કોન્ટ્રેક્ટરે આત્મહત્યા કર્યા બાદ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને શિવસેનાના નેતા રવીન્દ્ર ધાંગેકર, તેની પત્ની તથા અન્ય 12 જણ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પુણેના ગુલટેકડી વિસ્તારમાં કોન્ટ્રેક્ટર ખલીલ શેખે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. અંતિમ પગલું ભરતાં પહેલા શેખે વીડિયો ઉતાર્યો હતો અને સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે ભૂતપૂર્વ વિધાનસભ્યનું નામ લખ્યું હતું. શેખે શહેરમાં અન્ય વ્યાવસાયિક પ્રોજેક્ટમાં જેમની સાથે કામ કર્યું હતું એવા ઘણા નામોનો તેમાં ઉલ્લેખ હતો.
વીડિયો અને સુસાઇડ નોટમાં શેખે દાવો કર્યો હતો કે વ્યાવસાયિક ભાગીદારો દ્વારા વિશ્ર્વાસઘાતને કારણે તેને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો.શેખે એવો પણ દાવો કર્યો હતો કે તે તકલીફમાં અને તાણ હેઠળ હતો, કારણ કે તેને આમાંના અમુક લોકો પાસેથી ધમકીઓ મળી રહી હતી.
પુણેના સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ધાંગેકર સહિત 14 લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
Khalil Shaikh