Mon Jun 08 2026

Logo

મુલુંડ દુર્ઘટના બાદ એમએમઆરડીએ સર્તક: મેટ્રો-૪ના બીમમાં ક્રેકની ફરિયાદ પર તાત્કાલિક સમારકામ

2026-02-22 20:59:18
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રો પ્રોેજેક્ટમાં મેટ્રો-ચારની સુરક્ષાને લઈને ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે. મુલુંડમાં તાજેતરમાં મેટ્રોનો સ્લેબ તૂટીને એકનું મૃત્યુ થયુંં હોવાની ઘટના તાજી છે ત્યાં ઘાટકોપર (પશ્ર્ચિમ)માં શ્રેયસ થિયેટર નજીક મેટ્રો-ચારના સ્ટ્રકચર બીમમાં તિરાડ પડી હોવાની ફરિયાદ બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા તાત્કાલિક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને એ બાદ   બીમમાં કોઈ તિરાડ પડી નથી અને બાંધકામ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

સોશિયલ મિડિયા પર ઘાટકોપરમાં મેટ્રો-ચારના સ્બેલમાં તિરાડ પડી હોવાની ફરિયાદ ફોટો સાથે કરવામાં આવી હતી. પાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા આ સંદર્ભમાં પત્ર જાહેર કરીને મેટ્રો લાઈન-ચારમાં બીમમાં ‘મૅક્રો ક્રૅક્સ’ દેખાઈ આવતી હોવાથી સંભવિત જોખમને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલા લેવાની સૂચના આપવામાં આવી હતી.

આ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે કોઈ પણ જીવહાનિ અથવા આર્થિક નુકસાન થાય નહીં તે માટે તાત્કાલિક ઉપાયયોજના કરો. મેટ્રો-ચારના તમામ બાંધકામની સ્ટ્રકચરલ તપાસ કરવાનો પણ પત્રમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો. લીગલ પૅનલ પરના ટેક્નિકલ નિષ્ણાત અથવા સ્ટ્રક્ચરલ ક્ધસલ્ટન્ટ મારફત તપાસ કરવાની અને વિગતવાર અહેવાલ રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આદેશનું પાલન નહીં કરતા કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી સંબંધિત યંત્રણાની રહેશે એવી ચેતવણી પણ આપી હોવાનું કહેવાય છે.

આ દરમ્યાન પાલિકાના પત્ર અને સોશિયલ મિડિયા પર આવેલી ફરિયાદ બાદ એમએમઆરડીએ દ્વારા સંબંધિત જગ્યાએ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.  ઈન્સ્પેકશન બાદ જણાવ્યું હતું કે મેટ્રો-ચારના બીમમાં નીચેથી દેખાઈ રહેલી લાઈન (તિરાડ) એ વધારાની કૉંક્રીટ સ્લરી (બાંધકામ દરમ્યાન વાપરવામાં આવતું સિમેન્ટ, પાણી અને ઍડિટિવ્હજનું મિશ્રણ) હતું. આવી વધારાની સ્લરી કોઈ-કોઈ વખત પૃષ્ટભાગ પર જોવા મળે છે.

તપાસ દરમ્યાન પૃષ્ઠભાગ પર તિરાડ પડી હોવાનું જણાયું નહોતું. ઈન્સ્પેકશન બાદ શનિવારે મોડી રાતે વધારાની સ્લરી પણ કાઢી નાંખવામાં આવી હતી. આ ઠેકાણે રહેલો બીમ સંપૂર્ણપણે સુરક્ષિત,  મજબૂત અને સ્થિર હોવાની સ્પષ્ટતા પણ એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી હતી.