Fri May 01 2026

Logo

પીએમ મોદીની કેરળ મુલાકાત: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને એકલા નહીં છોડીએ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

2026-03-11 16:07:08
Author: Mumbai Samachar Team
Article Image

કોચીમાં ₹ 10,800 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન, માછીમાર સમુદાયના વખાણ 

કોચી: વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળની મુલાકાતે પહોંચ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના એર્નાકુલમમાં આશરે ₹ 10,800 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. કોચીમાં ઓલ કેરળ ધીવરા સભાના સુવર્ણ જયંતિ સંમેલનને પણ સંબોધિત કર્યું. માછીમાર સમુદાયની ભૂમિકા અને યોગદાનની પણ પ્રશંસા કરી હતી. હવે કેરળમાં રાજકારણમાં ગરમાવાની શરૂઆત થઈ રહી છે. 

ઈરાનમાં લડાઈ મુદ્દે શું કહ્યું?

આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, બધાને ખાડીમાં શું થઈ રહ્યું છે તે અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. આપણા લાખો ભાઈ-બહેનો ત્યાં કામ કરે છે, પરંતુ તેમને ફસાયેલા રાખીશું નહીં. ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને ખાતરી આપતા કહ્યું કે તેમને સલામત રીતે પાછા લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આજે દેશમાં ભાજપ-એનડીએ સરકાર છે. ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પ્રયત્નશીલ છે. બધા મિત્ર દેશોની સરકારો આપણા લોકોની સંભાળ રાખી રહી છે. હું તેમનો આભારી છું.

કૉંગ્રેસ પર આકરા પ્રહાર

પોતાના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસ પર મોટો કટાક્ષ કર્યો. પીએમએ કહ્યું કે કોંગ્રેસ આટલા મોટા વૈશ્વિક સંકટમાં રાજકારણ રમી રહી છે. કોંગ્રેસ પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માટે જાણી જોઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે. આજનું ભારત તેના નાગરિકોને મુશ્કેલીમાં છોડતું નથી. અમારો પ્રયાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. 
આ લોકો સાથે મળીને મોદીને ગાળો આપી રહ્યા છે. ટૂંક સમયમાં ગાળો આપવાની રીલ બનાવવાનું શરૂ કરી શકે છે. આ દરમિયાન, તેમણે પ્રાદેશિક પક્ષો LDF અને UDF પર પ્રહારો કર્યા. આ બંનેના નામ અલગ છે, પરંતુ કાર્યો એક જ છે. બંને ભ્રષ્ટાચાર અને ગુનામાં ભાગીદાર છે. ઉપરાંત, તેઓ વિકાસને રોકવામાં ભાગીદાર છે.

માછીમાર સમુદાયના વખાણ કર્યાં 

માછીમાર સમુદાયની ભૂમિકા અને યોગદાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આ સમુદાય દેશના અર્થતંત્રને આગળ વધારવામાં નોંધપાત્ર શક્તિ ધરાવે છે.  ઓલ કેરળ ધીવરા સભા બુધવારે તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે અને છેલ્લા પાંચ દાયકાથી માછીમાર સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા માટે અથાક મહેનત કરી રહી છે. 

તેમણે આ પ્રસંગે કેરળના તમામ માછીમારો અને સભાના સભ્યોને અભિનંદન આપ્યા. આજે તેમની વચ્ચે ઊભા રહીને તેમણે સમગ્ર રાજ્યમાં પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરી. 1999ના વિનાશક પૂરનો ઉલ્લેખ કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે માછીમાર સમુદાયે તે સમયે હિંમત અને સેવાની ભાવના દર્શાવી હતી. કટોકટી દરમિયાન સમુદાયના સભ્યોએ ફસાયેલા પરિવારોને બચાવવા માટે તેમની બોટ જોખમમાં મૂકી હતી, જે પરાક્રમ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં.

મહત્વના પ્રસ્તાવને મંજૂરી

આજે, જ્યારે હું તમારી વચ્ચે ઊભો છું, ત્યારે સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ છે. મારા મલયાલી ભાઈઓ અને બહેનોની લાંબી રાહનો અંત આવ્યો છે. તમે બધા વર્ષોથી માંગ કરી રહ્યા છો કે કેરળનું નામ બદલીને કેરળમ કરવામાં આવે. કેન્દ્રમાં આપણી ભાજપની આગેવાની હેઠળની NDA સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હું તમારા બધાના ચહેરા પર ખુશી જોઈ શકું છું. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે, અખિલ કેરળ ધીવર સભાની 50મી વર્ષગાંઠ, આપણને તેના મહાન કાર્યોને યાદ કરવાની તક આપે છે. તમે આગળ વધ્યા છો અને રાષ્ટ્રીય ચેતના સાથે સંબંધિત દરેક મુદ્દાની જવાબદારી લીધી છે. તમે સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.