Thu May 07 2026

Logo

UAE પરના ડ્રોન હુમલામાં 3 ભારતીય ઈજાગ્રસ્તઃ પીએમ મોદીએ હુમલાને વખોડ્યો, શાંતિની કરી અપીલ

2026-05-05 17:51:49
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ફુજૈરા સિટી પર થયેલા હુમલાની નિંદા કરી છે. આ હુમલામાં ત્રણ ભારતી નાગરિકોને પણ ઈજા પહોંચી છે. યુએઈના ફુજૈરા પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને વડા પ્રધાન મોદીએ વખોડી કાઢી છે. યુએઈએ આ હુમલા માટે ઈરાન પર ઠીકરું ફોડ્યું હતું. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, યુએઈ પર થયેલા હુમલાની નિંદા કરૂ છું, જેમાં ત્રણ ભારતીય નાગરિકોને ઈજા થઈ છે. સામાન્ય નાગરિકો અને આંતરમાળખાને ટાર્ગેટ કરવા એ યોગ્ય નથી અને તે મંજૂર પણ નથી. 

દુનિયામાં શાંત-સ્થિરતા અનિવાર્ય
ભારત યુએઈની પડખે ઊભો છે અને વાતચીત-કુટનીતિના માધ્યમથી તમામ મુદ્દાઓને શાંતિથી ઉકેલવા, સમાધાન માટે પોતાનું સમર્થન રજૂ કરે છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત અને ભયમુક્ત રીતે નેવિગેશન સુનિશ્ચિત કરાવવું, ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઊર્જા માટે આ જરૂરી છે. ફુજૈરા સિટી પર એવા સમયે હુમલો થયો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરને લઈને સ્થિતિ તણાવગ્રસ્ત છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ દુનિયાના મોટાભાગના દેશમાં ક્રૂડ ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે. કુલ સપ્લાયના 20 ટકા ટેન્કર અહીંયાથી પસાર થાય છે. આ મુદ્દો પણ અગાઉ બે દેશ વચ્ચે મુખ્ય અવરોધ હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના કારણે હોર્મુઝના સાંકળા જળમાર્ગમાંથી જહાજને પસાર થવું જોખમથી ખાલી નથી. સમગ્ર સપ્લાય પર માઠી અસર થઈ છે. 

પીએમ મોદીનું ટ્વિટ ચર્ચામાં
યુએઈના રક્ષા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, 12 બેલેસ્ટિક મિસાઈલથી ઈરાને હુમલો કર્યો છે, ત્રણ ક્રુઝ મિસાઈલ અને ચાર ડ્રોનને નક્કામા કરી દીધા, હવે અમે કોઈપણ પ્રકારના જોખમ સામે જવાબ દેવા માટે તૈયાર છીએ. દેશની સુરક્ષાને નબળા પાડતા  હુમલાઓને મજબૂતાઈથી જવાબ આપવામાં આવશે.આ માહોલ વચ્ચે વડા પ્રધાન મોદીએ કરેલા ટ્વિટની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 

ખાસ કરીને નાગરિકોની સુરક્ષાને લઈને તેમણે ઊઠાવેલા પગલાંની ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ મિડલ ઈસ્ટના જ દેશ સમગ્ર અખાતી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહે એ માટે બેઠકો કરી ચૂક્યા છે. ખાસ કરીને પાકિસ્તાનની મધ્યસ્થતા નિષ્ફળ થતા અને ઓપેક દેશની બેઠક બાદ આ મુદ્દામાં નવો વળાંક આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલય તરફથી જે નિવેદન આપવામાં આવ્યું એમાં પણ સામાન્ય નાગરિકની સુરક્ષાની વાત હતી. મંત્રાલયે કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવા એ ખોટું છે. વાતચીત કરવાથી સમાધાન થાય. ભારત આ પ્રકારના હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરે છે.