Mon Aug 17 2026

Logo

અયોધ્યા બાદ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ માટે 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત, સાધુ-સંતોને પોલીસની નોટિસ

2026-08-09 13:50:00
Author: Vimal Prajapati
Article Image

મથુરાઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનાવવા માટે સાધુ-સંતોએ મોટું આહ્વાન કર્યું છે. મથુરાની ચિત્રગુપ્ત પીઠ ખાતે એકઠા થયેલા સંત સમાજના પ્રતિનિધિઓએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ માટે આગામી 6 ડિસેમ્બરે ‘કારસેવા’ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ‘કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે’ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

સંતોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે માંગી પરવાનગી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અપીલ કરતા જણાવ્યું છે કે, ‘સીએમ યોગી અમને કારસેવા માટે પરવાનગી આપે અને આ પવિત્ર કાર્યમાં સહયોગ કરે. અમે આવતા મહિને જન્મભૂમિ તરફ કૂચ કરીશું અને શ્રીકૃષ્ણને મુક્ત કરાવીને જ જંપીશું. આ માટે સંતો પોતાના પ્રાણનું બલિદાન આપવા પણ તૈયાર છે’

પથ્થરો ગાયબ થવાનો અને પોલીસ સામે વિરોધનો આરોપ

સ્વામી સચ્ચિદાનંદે પ્રશાસન પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પોલીસે સાધુ-સંતોને રોકવાનો પ્રયાસ કર્યો છે અને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું છે, જે અંગે એસએસપીને ફરિયાદ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, શિલા પૂજન માટે મંગાવવામાં આવેલા પથ્થરો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જેની તપાસ સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવશે. પ્રશાસનના દબાણ છતાં સંતોનો આ કાર્યક્રમ રોકાશે નહીં.

 

પોલીસે સાધ્વી ઋતુંભરા સહિત 12 સંતોને ફટકારી નોટિસ

કારસેવાની જાહેરાત બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થા તેમજ કોમી એક્તા જાળવી રાખવા માટે સાધ્વી ઋતંબરા, કથાકાર દેવકીનંદન ઠાકુર, મહંત ફુલડોલ બિહારીદાસ મહારાજ, શ્રીચરણદાસ મહારાજ, સૌરભ ગૌડ, સીતારામદાસ મહારાજ, સંત અભિષેક બ્રહ્મચારી, મોહિની બિહારી શરણ મહારાજ અને મહામંડલેશ્વર કૃષ્ણાનંદ મહારાજ સહિત 12 સંતો અને સંતોને નોટિસ જારી કરવામાં આવી છે.

 

નોટિસમાં જણાવાયું છે કે ધાર્મિક ભાવોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર કારસેવાના નામે વીડિયો કે પોસ્ટર શેર કરી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવામાં આવે. જો જન્મસ્થાન કે આસપાસના વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.