Sat Sep 05 2026

Logo

મહારાષ્ટ્ર પોલીસે શિવસેના (યુબીટી)ના છ બળવાખોર સાંસદોને વાય-પ્લસ સુરક્ષા આપી

2026-06-18 19:52:36
Author: Vipul Vaidya
મહારાષ્ટ્ર પોલીસે શિવસેના (યુબીટી)ના છ બળવાખોર સાંસદોને વાય-પ્લસ સુરક્ષા આપી

મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસે શિવસેના (યુબીટી)ના છ ‘બળવાખોર’ સાંસદોને’ વાય-પ્લસ’ સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. ગુપ્તચર ખાતાના કમિશનર શિરીષ જૈન દ્વારા સહી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંજય દિના પાટિલ (મુંબઈ-ઉત્તરપૂર્વ), સંજય દેશમુખ (યવતમાળ-વાશિમ), સંજય જાધવ (પરભણી), ભાઉસાહેબ વાકચૌરે (શિરડી), નાગેશ પાટિલ-આષ્ટિકર (હિંગોલી) અને ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર (ઉસ્માનાબાદ)ને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

તે મુજબ, 17 જૂનના પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સાંસદોને તાત્કાલિક અસરથી વાય-પ્લસ સુરક્ષા પૂરી પાડવી જોઈએ.આ સાંસદોએ ગુરુવારે દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીની મહત્વપૂર્ણ સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપી ન હતી, જે ઔપચારિક ઉલ્લંઘન દર્શાવે છે.વાશિમમાં શિવસેના (યુબીટી)ના એક સ્થાનિક નેતાએ બુધવારે સંજય દેશમુખને ચેતવણી આપી હતી કે જો તેઓ સાંસદ તરીકે રાજીનામું આપ્યા વિના વફાદારી બદલશે તો તેમને મતવિસ્તારમાં પાછા ફરવા દેવામાં આવશે નહીં અને તેમની કારને આગ લગાવવામાં આવશે.

સેના (યુબીટી)ના એકમાત્ર રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ગુરુવારે ગેરહાજર સાંસદો પર પ્રહાર કરતા કહ્યું કે શિવસૈનિકોના ક્રોધથી બચવા માટે ‘ગદ્દારો’ને ભારતીય વાયુસેનાના રક્ષણની જરૂર પડશે.ધારાશિવમાં પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે પાર્ટી છોડનારાઓના ચહેરા પર ગોબર ચોપડવામાં આવશે અને તેમને મતવિસ્તારમાં મુક્તપણે ફરવા દેવામાં આવશે નહીં.