મુંબઈઃ બીએમસીએ રાજકીય પક્ષોને મતદારો સાથે સક્રિયપણે સંપર્ક સાધવા અને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) 2026' અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવા તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે.
ચાલુ સુધારણા પ્રક્રિયાના ભાગરૂપે મુંબઈની મતદાર યાદીમાંથી ૩૬ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવ્યા બાદ આ અપીલ કરવામાં આવી છે. મુંબઈમાં એસઆઇઆર પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી અશ્વિની ભિડેએ ગુરુવારે બીએમસી મુખ્યાલય ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન, પક્ષના પ્રતિનિધિઓને એસઆઇઆર-2026 સંબંધિત પ્રવૃત્તિઓની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવતી મુલાકાતો, કાઉન્ટ શીટ્સનું વિતરણ, ડેટા કલેક્શન અને તેનું ડિજિટાઈઝેશન, મતદારોની પ્રાથમિક યાદી તથા ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોને આપવામાં આવેલી સત્તાવાર મંજૂરી જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
બેઠક દરમિયાન, ભિડેએ મતદાન મથકના સ્તરે રાજકીય પક્ષો અને બીએલઓ (બૂથ લેવલ ઓફિસર્સ) વચ્ચેના સંકલનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે પક્ષોને અનુરોધ કર્યો કે તેઓ મતદારોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં સક્રિયપણે સહયોગ આપે અને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સુચારુ અને કાર્યક્ષમ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે.
ભિડેએ મતદાર યાદીની પારદર્શક અને અસરકારક સુધારણા પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેમના સહયોગની પણ અપીલ કરી હતી. દાવા અને વાંધાઓની ચકાસણી અને નિરાકરણ થયા બાદ, ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનું આયોજન છે.