અમદાવાદઃ તહેવારો અને મેળાવડાઓ ધર્મ, આનંદ સાથે અર્થતંત્રને પણ વેગ આપે છે. સ્થાનિક રોજગારી અને આવક ઊભી કરવા માટે આવા આયોજનો મહત્વપૂર્ણ સાબિત થાય છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા જૂનાગઢના ભવનાથ મેળાએ પણ આ વાત સાબિત કરી છે.
આ વર્ષે લગભગ 25 લાખ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી, જેને લીધે પરિવહનથી માંડી હોટેલ રૂમ્સ અને ખાણીપીણીને લીધે તંત્રને રૂ. 100 કરોડનો ફાયદો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તંત્રને રૂ. 50થી 60 કરોડની આવકનો અંદાજ હતો, પરંતુ એક આંકડા પ્રમાણે આવક 100થી 120 કરોડ સુધીની રહેશે.
આ વધારો મુખ્યત્વે હોટેલ સંચાલકો, ઓટો રિક્ષા,ટેમ્પો ચાલકો, સ્થાનિક વેપારીઓ અને અન્ય સેવા આપતા વ્યવસાયોમાં જોવા મળ્યો છે.અન્ય રાજ્યોમાંથી આવેલા વેપારીઓએ પણ સારી કમાણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે સમગ્ર સંચાલન રાજ્ય સરકારે સંભાળ્યું હતું. સારી વ્યવસ્થાને લીધે પણ લોકો વધારે આવ્યા હોવાનું માનવામાં આવે છે. મિનિ કુંભ મેળા તરીકે ઓળખાતા જૂનાગઢના શિવરાત્રી મેળાએ લોકોને શ્રદ્ધા સાથે સમૃદ્ધિ પણ આપી હતી.