ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલથી ખળભળાટ
દુબઈઃ મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે દુનિયાભરના દેશને ચિંતામાં મૂક્યા છે. સમગ્ર દુનિયામાં ઊર્જા સંકટ ઊભું થાય એવા અણસાર છે. તેલ અને નેચરલ ગેસની અછતને કારણે અનેક સેક્ટરને માઠી અસર પહોંચી છે. આ સમગ્ર યુદ્ધના માહોલની નોંધ લઈને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. એજન્સીએ આ સંકટને દુનિયાનું સૌથી મોટું તેલ સંક્ટ ગણાવી દીધું છે. આ સાથે એ વાત પણ સ્પષ્ટ કરી કે, યુદ્ધના કારણે દુનિયાભરમાં 80 લાખ બેરલ દૈનિક ધોરણે ક્રૂડની સપ્લાય ઘટી જશે.
જાહેર કર્યો મોટો રીપોર્ટ
આ અંગે એક રીપોર્ટ પણ જાહેર કર્યો છે, જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને તેલ ઉત્પાદકોએ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડી દીધું છે. ઈરાક, કુવૈત, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયાએ મળીને પોતાના ઉત્પાદનમાં દૈનિક ઉત્પાદનમાં એક કરોડ બેરલ સુધીનું ઉત્પાદન ઘટાડી દીધું છે. એજન્સીએ પોતાના સાથી દેશો સાથે મળીને સ્ટોકમાંથી 40 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઊતારવા માટેનો નિર્ણય કર્યો છે. જ્યાં ઉત્પાદન બંધ થયું છે ત્યાં ફરી ઉત્પાદન શરૂ થતાં લાંબો સમય લાગી શકે છે. સાઉદી અરેબિયા, યુએઈ હોર્મુઝને બાયપાસ કરતા પાઈપલાઈનના રસ્તેથી નિકાસ વધારી રહ્યા છે. આગામી એપ્રિલથી જુન સુધીમાં આંશિક રાહત મળશે.
હોર્મુઝનો વિકલ્પ નથી
ક્રૂડની અછતને લઈને એજન્સીએ એવી ચોખવટ કરી કે, આગામી દિવસોમાં થોડી રાહત અવશ્ય થશે પણ હોર્મુઝ સિવાય અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો નથી. હોર્મુઝને લઈને ઈરાને ભારતીય જહાંજને ત્યાંથી પસાર થવા દેવા માટેની મંજૂરી આપી દીધી છે. વણસી રહેલી સ્થિતિ વચ્ચે જોખમ એ છે કે, જહાંજની સુરક્ષાને લઈ હજું મોટો પ્રશ્ન છે. સમગ્ર સ્થિતિને લઈને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ખાડીના દેશ સાથે વાતચીત કરી છે. નાગરિકોનો જીવ જોખમાય નહીં અને જરૂરી ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે એ વિષય પર ભાર મૂક્યો હતો.