ગાંધીનગર : ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 23 માર્ચ 2026 થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખરીદી માટેનું તમામ આગોતરું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તેમ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
ચણા માટે 165 તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત
તેમણે કહ્યું હતું કે, રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે 165 તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.
ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. ચણા માટે 2.59 લાખથી વધુ તેમજ રાયડા માટે 37,000 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે.
નોમીની પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે
ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ વર્ષે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. નોંધણી કરાવેલ સાચા ખેડૂત પાસેથી જ ખરીદી થાય તે સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. જો કોઈ ખેડૂત અનિવાર્ય સંજોગોમાં કેન્દ્ર પર હાજર ન રહી શકે, તો તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોમીની પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
ખરીદ કેન્દ્રો દ્વારા SMS મારફતે અગાઉથી જાણ કરવામાં આવશે
ખેડૂતોને ભીડભાડથી બચાવવા અને વ્યવસ્થા જાળવવા માટે ખરીદ કેન્દ્રો દ્વારા SMS મારફતે અગાઉથી જાણ કરવામાં આવશે. ખેડૂતોએ તેમને મળેલા મેસેજ મુજબના નિયત સમયે અને તારીખે પોતાનો પાક લઈને કેન્દ્ર પર ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.