Tue Jul 28 2026

Logo

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, પણ ફ્લાઈટ્સ ન હોવાથી પ્રવાસીઓને હાલાકી...

2026-02-23 21:06:54
Author: pooja shah
Article Image

રાજકોટ: હીરાસર ખાતે આવેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાના અઢી-ત્રણ વર્ષ થયા પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ જ ન હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નાગરિકોએ હાલાકી ભાગોવવી પડે છે અને અમદાવાદ, વડોદરા કે પછી મુંબઈ સુધી દોડવું પડે છે. આ સમયનો બગાડ, શક્તિનો વેડફાટ અને સાથે ખર્ચાનું આંધણ છે, તેમ પ્રવાસીઓ જણાવી રહ્યા છે. 

એક અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં નિયમિત 1500થી 2000 પ્રવાસી એવા છે જેમણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પકડવા માટે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ટેક્સી કે અન્ય સાધનો પકડવા પડે છે, જેનો અંદાજિત ખર્ચ 13થી 15 લાખ જેટલો થાય છે. છેલ્લા બે અઢી વર્ષની વાત કરીએ તો આ આંકડો કરોડોમાં પહોંચી ગયો છે. 

રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય તો વેપારીઓને ખૂબ જ ફાયદો થાય. પર્યટન પણ વિકસે અને શહેરમાં પણ નવું રોકાણ આવે. અહીંના માછીમારીથી માંડી સિરામિક ઉદ્યોગ વિવિધ દેશો સુધી પહોંચેલા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પર્યટનના સ્થળો ઘણા છે, જ્યાં વિદેશીઓ પણ આવે છે. મહત્વના દેશો સાથે સીધી ફ્લાઈટ્ કનેક્ટિવિટી હોય તો બધાને ફાયદો થાય અને સમય, શક્તિ અને બચે, આ સાથે ખર્ચમાં પણ ઘણો ઘટાડો થાય. 

વેપારીઓ સહિત તમામ આ માટે વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ માગણી પૂરી થઈ ન હોવાનો વસવસો લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે એરપોર્ટ ઓથોરિટી સાથે વાત થઈ શકી ન હતી.