મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL ) 2026માં પાંચ વખતની ટાઈટલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની શરૂઆત નીરાશાનક રહી છે, CSK આ સિઝનમાં તેની પહેલી ત્રણ મેચ હારી ગઈ છે. હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે, એક સમયે CSKને IPLમાં સૌથી મજબુત ટીમ માનવામાં આવતી, હવે અન્ય ટીમો CSKને સરળતાથી હરાવી રહી છે. CSKની સતત હાર માટે ઘણાં ખરાબ નિર્ણયો જવાબદાર છે.
CSKનો દિગ્ગજ ખેલાડી એમએસ ધોની નથી રમી રહ્યો, ટીમને તેની ગેરહાજરી વર્તાઈ રહી હોય એવું લાગે છે. આ સિઝનથી ટીમમાં જોડાયેલો સંજુ સેમસનનો આશા પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યો. આ સાથે યુવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડના નિર્ણયો સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
ટીમ પ્રશાંત વીરનો ઉપયોગ ન કરી શકી:
ક્રિકેટ નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે CSK 20 વર્ષીય ઓલરાઉન્ડર પ્રશાંત વીરનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકી, ઉત્તર પ્રદેશનો આ અનકેપ્ડ લેફ્ટ હેન્ડ સ્પિનરને CSKએ 14.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિઝન શરુ થઇ એ પહેલા પ્રશાંત વીરને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ માનવામાં આવતો હતો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રતિભાશાળી પ્રશાંત વીરને તક જ ન આપી.
રાજસ્થાન રોયલ્સ સામે CSKની પહેલી મેચમાં પ્રશાંત વીરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું, પંજાબ કિંગ્સ સામેની બીજી મેચમાં વીરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું પણ, તેને બોલિંગ જ ન આપવામાં આવી. PBKSએ આઠ બોલ બાકી રહેતા 210 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ગઈ કાલે રવિવારે CSKને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 43 રનથી કારમી હાર મળી, RCBએ CSKના બોલર્સને હંફાવ્યા હતાં અને 20 ઓવરમાં 250/3નો વિશાળ સ્કોર બનાવ્યો.આ મેચમાં પણ ગાયકવાડે વીરને બોલિંગ ન આપી.
CSK આ સિઝનમાં કુલ 14 લીગ મેચો રમશે, આ સિઝન માટે CSK વીરને ₹14.2 કરોડ ચૂકવશે, આમ CSK વીર પર પ્રતિ મેચ આશરે ₹1.014 કરોડ ખર્ચે છે.
કદાચ CSK હજુ વીર ઉપયોગનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજી શકી નથી. CSKએ તેને ઓલરાઉન્ડર તરીકે ખરીદ્યો છે, પરંતુ તેની બોલિંગ પર વિશ્વાસ નથી. CSKએ બેટિંગ ડેપ્થ વધારવાના ઈરાદે પણ તેને ટીમમાં રાખ્યો હોઈ શકે છે.