વિશ્વભરમાં આજે 'વર્લ્ડ કિડની ડે' ઉજવવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરતી કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. બદલાતી જતી આધુનિક જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે કિડનીની બીમારીઓ હવે માત્ર વૃદ્ધો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. "કિડની હેલ્થ ફોર ઓલ" ના મંત્ર સાથે આ વર્ષે નિષ્ણાંતો ખાસ કરીને 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને વહેલા નિદાન (Early Screening) માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જ્યારે કિડનીની બીમારી એક 'સાયલન્ટ કિલર' તરીકે ઉભરી રહી છે, ત્યારે સમયસરની સાવચેતી જ આ ગંભીર સંકટમાંથી બચવાનો એકમાત્ર માર્ગ છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) ના કિસ્સાઓમાં ભયાનક ઉછાળો જોવા મળ્યો છે. આ એક એવી બીમારી છે જે શરીરમાં શાંતિથી (Silent Killer) પગપેસારો કરે છે અને જ્યાં સુધી તેના લક્ષણો બહાર આવે ત્યાં સુધીમાં કિડનીને મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતમાં કિડનીના દર્દીઓનું પ્રમાણ 11% થી વધીને 16% ને પાર કરી ગયું છે, જે જાહેર આરોગ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.
૩૦ વર્ષની ઉંમરથી જ તપાસ કરાવવી કેમ જરૂરી?
પહેલા કિડનીની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે ૩૦ થી ૪૦ વર્ષના યુવાનો પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. શહેરીકરણ, બેઠાડુ જીવનશૈલી અને જંક ફૂડના કારણે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર નાની ઉંમરે આવી રહ્યા છે, જે કિડનીના દુશ્મન છે. ડોક્ટરો સલાહ આપે છે કે 30 વર્ષની ઉંમર પછી સીરમ ક્રિએટિનાઇન અને યુરિન ટેસ્ટ જેવા સામાન્ય સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ, જેથી બીમારીને શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય.
કિડની ખરાબ થવા પાછળ મુખ્યત્વે અનિયંત્રિત ડાયાબિટીસ અને હાઈ બીપી જવાબદાર છે. આ ઉપરાંત વધુ પડતો મીઠાનો ઉપયોગ, ધૂમ્રપાન, મેદસ્વીતા અને ડોક્ટરની સલાહ વગર પેઈનકિલર્સ (દુખાવાની દવાઓ) લેવાની આદત કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોમાં પ્રદૂષિત પાણી અને ડિહાઇડ્રેશન પણ કિડનીની સમસ્યાનું કારણ બની રહ્યા છે.
કિડનીની બીમારી જો વહેલી ખબર પડી જાય તો તેને જીવનશૈલીમાં ફેરફાર અને દવાઓ દ્વારા અટકાવી શકાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું, વજન કાબૂમાં રાખવું, નિયમિત કસરત કરવી અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાથી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે. વહેલું નિદાન ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર સ્થિતિમાંથી બચાવી શકે છે.