ભુજઃ સ્વતંત્રતા દિવસે લઈને ભારતભરમાં તૈયારીઓ ચાલી રહી છે. ભક્તિની રંગમાં રંગાઈ જવા માટે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભુજ ખાતે સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા દેશભક્તિથી સભર ભવ્ય તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પરથી કમાન્ડન્ટ યોગેશ કુમાર અને સેકન્ડ-ઇન-કમાન્ડ મહેશ નાથની વિશેષ ઉપસ્થિતિમાં રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 100થી વધુ મોટરસાઈકલો પર દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુસ્સો પૂરો પાડ્યો હતો. આ તકે વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠને પણ ગૌરવપૂર્વક યાદ કરવામાં આવી હતી.

રેલીના અંતે કમાન્ડન્ટ યોગેશ કુમારે તમામ સૈનિકો અને અધિકારીઓના જુસ્સાને બિરદાવતાં જણાવ્યું હતું કે, તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું અમર પ્રતીક છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ પારિક અને ભૂપેન્દ્રસિંહ ભાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.