Mon Aug 17 2026

Logo

અમદાવાદમાં મુસ્લિમ TRB જવાને PIને આંતરડા બહાર કાઢી નાખવાની કેમ આપી ધમકી, જાણો વિગત

2026-08-15 13:52:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા એક TRB  જવાને પોતાની જ ઉપરના અધિકારી એવા ટ્રાફિક PSIને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઈ હતી. ગેરહાજરીનો રિપોર્ટ કરવા બાબતે ઉશ્કેરાયેલા જવાને PSI સામે ગંભીર ધમકીઓ ઉચ્ચારતાં આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, અમદાવાદના M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યા વિશાલા બીટના ઇનચાર્જ છે. તેમના વિસ્તારમાં આવતા તમામ ટ્રાફિક પોઇન્ટ્સ પર પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવાની જવાબદારી તેમની છે. ગત 13 ઓગસ્ટના રોજ વિશાલા બીટમાં ફરજ બજાવતો TRB જવાન જાવેદ ખાન પોતાની ડ્યુટી પર ગેરહાજર રહ્યો હતો, જેથી PSI પંડ્યાએ નિયમ મુજબ તેનો રિપોર્ટ PIને મોકલી આપ્યો હતો.

બીજા દિવસે એટલે કે 14 ઓગસ્ટે પણ જાવેદ સમયસર ફરજ પર આવ્યો ન હતો, જેથી ફરી તેને ગેરહાજર નોંધવામાં આવ્યો હતો. બપોરે જાવેદ આવ્યો ત્યારે PSI પંડ્યાએ તેને ગેરહાજર દર્શાવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે જાવેદ ફરી પાછો આવ્યો અને પોતાને હાજર દર્શાવવા માટે કહ્યું હતું. આથી PSIએ સ્પષ્ટ જણાવ્યું કે, તારો ગેરહાજરીનો રિપોર્ટ PI સાહેબને મોકલી દેવાયો છે, તું તેમની સમક્ષ રજૂઆત કરીને ફરજ પર જોડાઈ શકે છે.

PSIની આ વાત સાંભળતા જ જાવેદ ખાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ PSI પંડ્યા સાથે ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું. તેણે જાહેરમાં ધમકી આપતાં કહ્યું, પંડ્યા, તું કેવી રીતે નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ. જો મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ. આ મારો ઇલાકો છે, હવે તું ખુરશી પર કેવી રીતે બેસે છે તે હું જોઉં છું. 

ઘટના સમયે હાજર અન્ય સાથી કર્મચારીઓએ વચ્ચે પડીને જાવેદને શાંત પાડ્યો હતો અને તેને ત્યાંથી રવાના કર્યો હતો. આ ઘટના બાદ PSI ભરત પંડ્યાએ સમગ્ર બાબતની જાણ PIને કરી હતી અને સ્ટેશન ડાયરીમાં વિગતવાર નોંધ કરાવી હતી.