અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. લગ્નના 3 મહિનામાં જ પતિએ પત્નીના ગળા પર છરી ફેરવી મોતને ઘાટ ઉતારી હતી. પત્ની ધાબા પર ઊંઘતી હતી ત્યારે પતિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પત્નીએ ચીસાચીસ કરતાં પતિ ધાબા પરથી કૂદીને ફરાર થઈ ગયો હતો.
શું છે મામલો
સરખેજમાં રહેતા મેહુલ મુનિયાના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા થયા હતા. લગ્ન બાદ મેહુલ, તેના પિતા અને પત્ની સાથે રોજગારી મેળવવા અમદાવાદમાં આવ્યો હતો. મૃતકના પિતા જ્યારે રાજસ્થાનમાં તેમના ઘરે હાજર હતા ત્યારે વેવાઈનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તેમની પુત્રીને ગળામાં છરી મરવામાં આવી છે અને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સાંભળી તેઓ તાબડતોડ અમદાવાદ આવ્યા હતા.
અમદાવાદ પહોંચ્યા બાદ વેવાઈએ જણાવ્યું કે, સરખેજ વિસ્તારમાં આવેલા મકાનના ધાબા પર તેઓ સુતા હતા ત્યારે પુત્રવધૂ અને પુત્ર બંને સૂતા હતા. તેઓ ત્યાંથી થોડે દૂર સુતા હતા. વહેલી સવારે અચાનક પુત્રવધૂની ચીસો સંભળાઈ હતી. જાગીને જોયું તો તે લોહીલુહાણ હતી અને પુત્ર ધાબા પરથી ભાગી રહ્યો હતો.
છરીનો ઘા ઉંડો હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારા પતિને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યારો પતિ ઝડપાયા બાદ જ તેણે કેમ આવું પગલું ભર્યું તેની વિગત સામે આવી શકશે.