Sun Apr 26 2026

Logo

વિધાન પરિષદ માટે અભિજીત બિચુકલેની લોટરી?

2026-04-26 18:51:50
Author: વિપુલ વૈદ્ય
Article Image

નીલમ ગોર્હેને નહીં બિચુકલેને તક આપોે, એકનાથ શિંદે પાસે કોણે કરી માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટીમાં લોબિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. શાસક પક્ષના ઉમેદવાર કોણ હશે તે અંગેની ઉત્સુકતા વિપક્ષ કરતાં વધુ છે. ભાજપ, શિંદે સેના અને અજિતદાદાની એનસીપીમાં ઘણા લોકો લોબિંગમાં વ્યસ્ત છે. જેમને અગાઉની ચૂંટણીઓમાં વચન આપવામાં આવ્યું હતું તેઓ હવે મેદાનમાં ઉતર્યા છે. ઘણા લોકોએ વિવિધ માધ્યમો દ્વારા ઉમેદવારી મેળવવા માટે પોતાના સ્ત્રોતોનો ઉપયોગ પણ કર્યો છે. પરંતુ આ બધા રાજકીય વિકાસમાં, એક દાવાએ મોટો હોબાળો મચાવ્યો છે. અભિજિત બિચુકલેને વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી આપવાની માગણી કરવામાં આવી છે. વરિષ્ઠ નેતા નીલમ ગોર્હેને બદલે ઉપલા ગૃહમાં બિચકુલેને મોકલવાની માગણી કરવામાં આવી છે.

સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ નીલમ ગોર્હેને બદલે બિચુકલેને તક આપવાની માગણી કરી છે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સીધો પત્ર મોકલ્યો છે. સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઈ-મેલ દ્વારા જણાવ્યું છે કે અભિજિત બિચુકલેને વિધાન પરિષદમાં નીલમ ગોર્હેના સ્થાને તક આપવામાં આવે. તેમની માગણીએ ચકચાર જગાવી છે. બિચુકલેએ આવી કોઈ માગણી કરી નથી. તેના બદલે, તૃપ્તિ દેસાઈએ તેમના વતી આ માગણી કરી છે.

તૃપ્તિ દેસાઈએ નાયબ એકનાથ શિંદેને પત્રમાં, લખ્યું છે કે હાલમાં તમારી પાર્ટી ફરી એકવાર વિધાન પરિષદમાં ડો. નીલમતાઈ ગોર્હેના નામની ચર્ચા કરી રહી છે. નીલમતાઈ ઘણા વર્ષોથી વિધાન પરિષદના સભ્ય તરીકે કાર્યરત છે. જોકે, તેમણે પક્ષ અને સંગઠનને વધારવા માટે કોઈ ખાસ પ્રયાસો કર્યા હોય તેવું લાગતું નથી. ઘણી મહિલાઓને નેતૃત્વની તકો મળી શકે છે, પરંતુ તેમણે પોતે ઘણા હોદ્દા સંભાળ્યા છે. પુણે વિસ્તારમાં, જ્યાં તેઓ રહે છે, ત્યાં પણ તેઓ પક્ષના એક સામાન્ય કોર્પોરેટરને ચૂંટાવી શક્યા નથી. તેઓ પોતે ક્યારેય લોકો પાસેથી મત લઈને ચૂંટાયા નથી. ઉપરાંત, તેઓ હવે 70 વર્ષથી વધુ ઉંમરના છે. તેથી, સંગઠનને વિસ્તૃત કરવા માટે નવા અને અસરકારક નેતૃત્વની જરૂર છે. એમ તૃપ્તિ દેસાઈએ પત્રમાં કહ્યું છે. 

તેમણે નીલમ ગોર્હે પર આરોપ લગાવ્યો કે ઘણી વખત તકો મળવા છતાં પક્ષના નિર્માણમાં કોઈ કામ દેખાતું નથી. તેથી, તેમણે ઉલ્લેખ કર્યો કે નવા ચહેરાને તક આપવાની જરૂર છે. જો આપણે એવી વ્યક્તિને વિધાન પરિષદ આપવા જઈ રહ્યા છીએ જે કામ કરી રહ્યો નથી, તો આપણે મહારાષ્ટ્રના લોકપ્રિય વ્યક્તિત્વ ડો. અભિજીત બિચુકલેને પાર્ટીમાં પ્રવેશ આપીને અને તેમને વિધાન પરિષદમાં મોકલીને તક આપવી જોઈએ. બિચુકલે વિધાન પરિષદ દ્વારા કલાકારો માટે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. તેઓ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સ્પષ્ટ વલણ અપનાવી શકે છે અને પક્ષની સ્થિતિ અસરકારક રીતે રજૂ કરી શકે છે, એમ દેસાઈએ પત્રમાં જણાવ્યું હતું.