જન્માષ્ટમી 2026: જન્માષ્ટમીના પવિત્ર તહેવારે ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલા અપરંપાર છે, એ તો સૌ કોઈ જાણે છે. જન્માષ્ટમીના પર્વમાં ભક્તો શ્રીકૃષ્ણને રીઝવવાના પ્રયત્નો કરે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે. રાતના કાનૂડાની પૂજા કરે છે, જ્યારે ઘરેઘરે બાળગોપાળ અને રાધાને પણ તૈયાર કરીને ઉજવણી કરાય છે. ભક્તો ભગવાન કૃષ્ણને અલગ અલગ ભોગ પણ ધરાવે છે, જેને ઉપવાસ તોડ્યા પહેલા તેમના જન્મનું પ્રતીક માનવામાં આવે છે.
આ તહેવાર રાજપૂત યુગના જાણીતા કવયિત્રી અને કૃષ્ણભક્તિના રંગે રંગાયેલા ભક્ત મીરાંબાઈની ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થાને યાદ કરવાનો આજે મોટો અવસર છે. મીરાંબાઈ બાળપણથી જ શ્રીકૃષ્ણને તેમના પતિ માનતા હતા. ઐતિહાસિક રેકોર્ડ્સ અનુસાર મીરાંબાઈ પોતાના બાળપણ દરમિયાન શ્રીકૃષ્ણની જે મૂર્તિની પૂજા કરતા હતા તે આજે પણ રાજસ્થાનમાં સુરક્ષિત છે.
મૂર્તિને મુરલીધરજી નામથી ઓળખાય છે
ઇતિહાસકારો અને પરંપરાથી જોડાયેલા દસ્તાવેજો મુજબ મીરાંબાઈએ બાળપણમાં જે કૃષ્ણમૂર્તિ પોતાની પાસે રાખી હતી તે આજે પણ રાજસ્થાનના પાલી જિલ્લાના ઘાણેરાવ મહેલના એક મંદિરમાં સુરક્ષિત છે. શ્રીકૃષ્ણની આ મૂર્તિને મુરલીધરના નામથી ઓળખવામાં આવે છે અને તેને એક દુર્લભ કાળા સંગેમરમરની મૂર્તિના રૂપમાં બતાવવામાં આવી છે. આ મૂર્તિની ઊંચાઈ લગભગ 14 ઇંચ છે, જ્યારે શ્રીકૃષ્ણની આ મૂર્તિ 500 વર્ષ જૂની છે.
મીરાંબાઈ મૂર્તિને ચિત્તોડગઢ લઇ ગયા હતા
મૂર્તિની વાર્તા મીરાંબાઈના જીવન સાથે જોડાયેલી છે. રેકોર્ડ અનુસાર 1516માં પોતાના વિવાહ બાદ મીરાંબાઈ શ્રીકૃષ્ણની મૂર્તિને પોતાની સાથે ચિત્તોડગઢ લઇ ગયા હતા. જયારે તેઓ પોતાના આધ્યાત્મિક પદ પર આગળ વધતા રહ્યા ત્યારે આ મૂર્તિ તેમની ભક્તિનો એક જરૂરી ભાગ બની હતી. ત્યાર બાદ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલા મીરાંબાઈએ પોતાનું શાહી જીવન ત્યજી દીધું હતું અને અંતે વૃંદાવન તરફ જતા પહેલા ત્યાગના માર્ગે નીકળી પડ્યા હતા. તેમણે મૂર્તિને પોતાના પિતરાઈ ભાઈ ઠાકુરપ્રતાપ સિંહને સોંપી હતી. ત્યારબાદ ઠાકુરપ્રતાપ સિંહનો પરિવાર ભગવાનની મૂર્તિને ઘાણેરાવ લઇ આવ્યા હતા. જ્યાં તેને સુરક્ષા હેઠળ રાખવામાં આવી.
રાજસ્થાનનો ઘાણેરાવ મહેલ
ઘાણેરાવ મહેલ રાજસ્થાનના પાલી જિલ્લાના ઘનેરાવ ગામમાં આવેલું છે. આ ઐતિહાસિક મહેલ અરવલ્લીની પર્વતમાળાની તરહટીમાં આવેલો છે. આ રચના રાજપૂત વાસ્તુકલાની પરંપરાનું એક ઉદાહરણ છે. જેમાં મેવાડી અને મારવાડી બંને શૈલીઓથી જોડાયેલા તત્વો સામેલ છે. આ મહેલનું નિર્માણ ઠાકુર ગોપાલ દાસજીએ 1606માં કરાવ્યું હતું. આજે આ ઐતિહાસિક મહેલને એક હેરિટેજ હોટેલમાં બદલી દેવામાં આવ્યો છે. મહેલ પરિસરમાં મીરાંબાઇથી જોડાયેલી મુરલીધરની મૂર્તિ સુરક્ષિત છે.
ઘાણેરાવ કઈ રીતે જઈ શકાય ?
ઘાણેરાવ જોધપુર અને ઉદયપુર વચ્ચે આવેલુ છે. આ બંને શહેરોથી અહીં પહોંચી શકાય છે. આ સ્થળ રણકપુર જૈન મંદિર અને કુંભલગઢ કિલ્લા જેવા પર્યટક આકર્ષણોની નજીક આવેલું છે. રેલવે મુસાફરો માટે ફાલના અને મારવાડ જંકશન સૌથી પાસેના મુખ્ય રેલવે સ્ટેશનો છે. જે લગભગ 30થી 40 કિલોમીટર દૂર છે. કોઈ પણ સ્ટેશનથી ટેક્સી કે સ્થાનિક પરિવહન દ્વારા ઘાણેરાવ પહોંચી શકાય છે.