સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગઈકાલથી શરૂ થયેલી બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે કેટલીક મોટી જાહેરાતો થઈ હતી. આ દરમિયાન ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરવા અને પ્રવાસન સ્થળોનો પ્રોત્સાહન આપવા માટે રૂ. 220 કરોડ ફાળવ્યા હતા. રૂરલ, ટ્રાયબલ એન્ડ વેડિંગ ટૂરિઝમ વિષય પર આયોજિત સેમિનાર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી અને ગ્રામીણ પટ્ટાઓ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પ્રવાસન ક્ષમતાઓને વિકસાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 1.13 લાખ હતી, જે 2025-26માં વધીને 1.19 લાખ થઈ છે. જે પ્રકૃતિ આધારિત સ્થળોમાં વધતા જતા રસને દર્શાવે છે.
સૂત્રોએ ઉમેર્યું કે, સરકાર ડાંગ અને નર્મદા જેવા પ્રદેશોમાં ઇકો-ટૂરિઝમ, ગ્રામીણ પ્રવાસન અને આદિવાસી હેરિટેજ સર્કિટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય સાતત્યપૂર્ણ વિકાસની સાથે સાંસ્કૃતિક અનુભવ મેળવવા ઈચ્છતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો છે.
આ યોજનાના મુખ્ય આકર્ષણોમાં માળખાગત સુવિધાઓનું અપગ્રેડેશન સામેલ છે, જેમાં સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટના વિકાસ માટે ₹9.85 કરોડનો પ્રોજેક્ટ પણ સામેલ છે. તેમજ આદિવાસી વિસ્તારોમાં વેડિંગ ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આ વ્યૂહરચના સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણને જાળવી રાખીને નવી પ્રવાસન પ્રોડક્ટ્સ બનાવવા પર કેન્દ્રિત છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ આદિવાસી પરંપરાઓ અને પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા માટે જવાબદાર પ્રવાસન પ્રથાઓ પર પણ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત વરલી પેઇન્ટિંગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રવાસન પ્રમોશનમાં સ્થાનિક કલા અને સંસ્કૃતિને સાંકળવાનું મહત્વ સમજાવે છે. ગુજરાતના આદિવાસી પટ્ટાને વાઈબ્રન્ટ ટૂરિઝમ હબમાં ફેરવવા માટે લક્ષિત રોકાણ અને સામુદાયિક ભાગીદારી ચાવીરૂપ બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.