- કે.પી.સિંહ
તપતી બપોરે જ્યારે ધરતી ખૂબ જ ગરમ હોય અને આકાશમાંથી આગ વરસતી હોય તેવું લાગે છે, ત્યારે સૌથી મોટું સંકટ એ નાનાં પક્ષીઓ પર આવે છે, જેમનો કલરવ આપણી સવારને જીવંત બનાવે છે. પાણીનું એક ટીપું અને એક મુઠ્ઠી ચણ તેમના માટે માત્ર ખોરાક નથી, પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર બની જાય છે. તેથી, જો આપણે આ કાળઝાળ ગરમીમાં આપણા ઘરની છત, આંગણું કે બારી પાસે પાણી ભરેલો એક વાટકો રાખીએ અને તે જ જગ્યાએ એક મુઠ્ઠી ચણ નાખીએ, તો તે આ નાનકડાં પક્ષીઓને રાહત આપશે. આપણો આ નાનકડો પ્રયાસ તેમના માટે સુરક્ષિત આશરો અને જીવતરો સહારો બની શકે છે.
આ વર્ષે એપ્રિલમાં જ ગરમીએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં વિચારી શકાય કે મે મહિનામાં શું હાલત થશે? શહેરના રસ્તાઓથી લઈને ગામડાના ખલ્લા આકાશ સુધી પક્ષીઓ સંકટનો સામનો કરી રહ્યા છે. એવું જોવા મળ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉનાળામાં તાપમાનમાં થઈ રહેલા સતત વધારાએ પક્ષીઓના કુદરતી જીવનચક્રને ખોરવી નાખ્યું છે. પહેલા જ્યાં 38 થી 40 ડિગ્રી તાપમાન મે મહિનાના છેલ્લા દિવસોમાં જોવા મળતું હતું, ત્યાં હવે આ એપ્રિલના પહેલા અઠવાડિયાનું તાપમાન બની ગયું છે; એટલું જ નહીં, આ વર્ષે તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં દેશના કેટલાક ભાગોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયું હતું. જ્યારે ગરમી આટલી વધી જાય છે, ત્યારે નાનાં પક્ષીઓ માટે એક વિશેષ પડકાર બની જાય છે. તેમના માટે સુરક્ષિત આશરો અને પાણીની ભારે અછત સર્જાય છે. પક્ષીઓનું શરીર નાનું અને અત્યંત સંવેદનશીલ હોય છે, જેના કારણે તેઓ તાપમાનમાં થતા સામાન્ય ફેરફારથી પણ પ્રભાવિત થાય છે. ઉનાળામાં જ્યારે જળસ્રોતો સુકાવા લાગે છે, ત્યારે તેમને પાણીની શોધમાં દૂર-દૂર સુધી ઊડવું પડે છે. આ દરમિયાન તેમની ઊર્જા ઝડપથી ખર્ચાઈ જાય છે અને ઘણીવાર પાણીની શોધમાં જ તેઓ હીટ સ્ટ્રોકનો શિકાર બની જાય છે.
શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે. સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાં હવે ન તો વૃક્ષોની છાયા બચી છે અને ન તો કુદરતી જળસ્રોતો. આ જ કારણ છે કે કબૂતર, ચકલી, મેના જેવા સામાન્ય પક્ષીઓ પણ હવે પાણી માટે તરસી રહ્યાં છે. ઝડપથી થઈ રહેલા શહેરીકરણને કારણે સતત વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા, પરંતુ પક્ષીઓ માટે ખોરાક અને આશરો પણ હોય છે. જૂનાં ઘટાદાર વૃક્ષો, જેમાં પક્ષીઓ પહેલા માળા બનાવતા હતા, તે હવે બનાવવામાં આવતા નથી. રસ્તાના કિનારે હવે માત્ર ઇમારતી લાકડાવાળાં વૃક્ષો વાવવામાં આવે છે, જેની અસર એ થાય છે કે રસ્તા કિનારે વૃક્ષો હોવા છતાં પક્ષીઓ તેમાં પોતાનો માળો બનાવી શકતા નથી અને ન તો મુસાફરોને તેની છાયા મળે છે. આ જ કારણ છે કે શહેરોમાં ખાસ કરીને જોવા મળતી ચકલી અને બુલબુલ જેવાં પક્ષીઓની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણો ઘટાડો થયો છે.
કારણ કે પાણી અને આશરાની અછતને લીધે માણસોની જેમ પક્ષીઓ પણ હીટ સ્ટ્રોકનો શિકાર બની જાય છે. અત્યંત ગરમીમાં પક્ષીઓ તેમના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા નથી, જેના કારણે તેઓ અચાનક નીચે પડી જાય છે. ઘણીવાર લોકો આને સામાન્ય ઘટના માનીને અવગણે છે, પરંતુ આ ગંભીર પર્યાવરણીય સંકેત છે. તેથી, આપણી જવાબદારી સમજીને આપણે સૌએ ઉનાળામાં આપણા ઘરે, આંગણે, ખેતરોમાં, ધાબા અને પાળીઓ પર એટલે કે જ્યાં પણ શક્ય હોય ત્યાં, પક્ષીઓ માટે એક વાટકો પાણી અને એક મુઠ્ઠી ચણની વ્યવસ્થા કરવી જોઈએ. આનાથી પક્ષીઓના જીવ બચાવી શકાય અને આપણને કોઈનો જીવ બચાવવાનો આનંદ મળશે, જેનાથી આપણે અનેક પ્રકારના તણાવ અને જીવનશૈલીની સમસ્યાઓથી મુક્ત રહીશું.