Tue Aug 18 2026

Logo

પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા વિપક્ષને શું અપીલ કરી? વસ્તી ગણતરી અંગે પણ કરી ખાસ વાત

2026-08-15 10:35:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ આજે ભારત માટે ખુશીનો દિવસ છે. ભારતભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વાત કરી છે. વસ્તી ગણતરી, કોચિંગ સંસ્થાનો અને મહિલા આરક્ષણ અંગે પીએમ મોદી મહત્વપૂર્ણ વાત કરી છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી લોકોને સંબોધિત કરતા અનેક મુદ્દા પર દેશના લોકોનો આભાર માન્યો છે, તો કેટલીક બાબતો પર મદદ કરવા માટે પણ અપીલ કરી છે. ચાલો વિગતે વાત કરીએ....

લાલ કિલ્લા પરથી યુવાનો માટે કેવી જાહેરાત કરવામાં આવી?

રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ યુવાનોમ માટે ખાસ જાહેરાત કરી છે. કહ્યું કે, ‘હું લાલ કિલ્લા પરથી યુવાનો માટે એક જાહેરાત કરવા માંગુ છું. અમે હવે નક્કી કર્યું છે કે, આગામી એક વર્ષમાં કરોડો યુવાનો માટે એઆઈ સ્કિલની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી આપણા યુવાનો હવે એઆઈની દુનિયામાં ભારતનું નેતૃત્વ વધારે મજબૂત થશે’. વધુમાં કહ્યું કે, અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે દેશમાં મફત ઓનલાઈને કોચિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે રમત ગમત ક્ષેત્રમાં શહેરો અને ગામડાંના 5 થી 15 વર્ષના બાળકોને સક્ષમ બનાવવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. 

શિક્ષણ અંગે 2014 થયેલા કાર્યોનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો

લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 2014 પછી દેશમાં 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે. આ સાથે મેડિકલ સીટોની સંખ્યા બમણી થઈ ગઈ છે. પીએમએ નોંધ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન, દેશમાં 350 થી ઓછી યુનિવર્સિટીઓ હતી. આજે, ફક્ત 10-12 વર્ષમાં, લગભગ 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે, જેનાથી કુલ સંખ્યા 1,000 ની નજીક પહોંચી ગઈ છે. 2014 પહેલા, ફક્ત 400 મેડિકલ કોલેજો હતી. આજે, તે આંકડો વધીને લગભગ 850 થઈ ગયો છે. 

મહિલા અનામતના અમલીકરણમાં સહયોગ આપવા અપીલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અમલીકરણમાં સહયોગ આપવા વિનંતી કરી છે. મહિલા અનામતનો મુદ્દો લાંબા સમયથી રાજકીય ક્ષેત્રનો ભોગ રહ્યો છે. આ મુદ્દે રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે, હું તમામ રાજકીય પક્ષોને મહિલા અનામત લાગુ કરીને મહિલાઓનું સન્માન કરવામાં જોડાવા વિનંતી કરું છું; તમે પણ શ્રેય લઈ શકો છો, પરંતુ ખાતરી કરો કે આપણી માતાઓ અને બહેનોને તેમના યોગ્ય અધિકારો મળે’. હવે પીએમ મોદીની આ અપીલને વિપક્ષ કેટલું પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહેશે.

વસ્તી ગણતરી અંગે પીએમ મોદી લોકોને ખાસ અપીલ

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે ભારતમાં વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. આ વસ્તી ગણતરી માત્ર આંકડા પૂરતી મર્યાદિત નથી. કારણ કે, તેના આધારે નીતિઓ અને યોજનો તૈયાર થતી હોય છે. દેશ આગળ વધવા માટે પોતાની રૂપરેખા તૈયાર કરે છે. તેના માટે વસ્તીની સચોટ માહિતી હોવી અનિવાર્ય છે. ઘણી વખત સરકારી કર્મચારીઓ વસ્તી ગણતરી કરવા માટે આવે છે તો, એ લોકો ઉતાવળમાં હોય છે તેના કારણે અનેક ભૂલો રહી જતી હોય છે. તેના કારણ સચોટ માહિતી મળી શકતી નથી. 

વસ્તી ગણતરીના કામમાં યુવાનો સક્રિય થવા માટે અપીલ

પીએમ મોદીએ કહ્યું કે, હવે ટેકનોલોજી આવી ગઈ છે. આ વખતે નિર્ણય કર્યો છે તમે જાતે પણ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી પોતાના મોબાઈલ ફોનથી ભરી શકો છો. બાદમાં સરકારી કર્મચારી આવશે, તમારી સાથે ચર્ચા કરશે પરંતુ અત્યારે જો તમે તમારા પરિવાર સાથે બેસીને ઓનલાઈન પોતાની માહિતી કોઈ પણ ભૂલ વિના ભરી દો છો તો તે દેશ માટે ખૂબ જ મદદરૂપ થશે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તેવી રીતે માહિતી ભરવાની છે. તમારી આ જાણકારીના કારણે ભારતને આગળ વધવા માટે ખૂબ જ મોટી મદદ મળી રહેશે. પીએમ મોદીને દેશના દરેક નાગરિકોને આવી રીતે જાતે વસ્તી ગણતરીની માહિતી અપલોડ કરવા માટે અપીલ કરી છે.