Thu Sep 10 2026

Logo

નેપાળમાં પૂરની 'તબાહી' વચ્ચે ફરી ભૂકંપનો 'આંચકો': 1,300થી વધુના મોત, 5,000 લાપતા

khatmandu   2026-09-06 20:44:24
Author: Mumbai Samachar Team
નેપાળમાં પૂરની 'તબાહી' વચ્ચે ફરી ભૂકંપનો 'આંચકો': 1,300થી વધુના મોત, 5,000 લાપતા

કાઠમંડુઃ વિનાશક પૂરગ્રસ્ત નેપાળમાં નિરંતર કુદરતી આફતોનું સંકટ તોળાઈ રહ્યું છે, જ્યાં પૂર-ભૂકંપની થપાટ વચ્ચે આજે ફરી ભૂકંપથી ધણધણી ઊઠ્યું હતું. પૂરના દસ દિવસ પછી આજે નેપાળમાં 3.8 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. રાહત અને બચાવ કામગીરી વચ્ચે નેપાળમાં મૃતકો અને ગુમ લોકોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 13,000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

હજુ પણ 5,000થી વધુ લોકો લાપતા

26મી ઓગસ્ટના નેપાળ-તિબેત સરહદ નજીક બરફ અને પવર્તોની સુનામીથી હિમસ્ખલન થયું હતું અને એના પછી ભોટેકોશી નદીમાં પાણી અને કાટમાળનું પૂર આવ્યું હતું, પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં તબાહી આવી હતી. ઘર, વાહન, રસ્તાઓ, પુલ અને હાઈડો પાવરના પ્લાન્ટ તૂટી ગયા હતા, જેને કારણે અત્યાર સુધીમાં કુલ 1,344 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 5,000થી વધુ લોકો લાપતા છે.

વધતા ભૂકંપને કારણે જોખમ વધે છે

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર આજે આવેલા ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. આજે સાંજના 6.69 વાગ્યાના સુમારે નેપાળના 27.747 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 86.163 ડિગ્રી પૂર્વી દેશાંતર હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ 20 કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું હતું. ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. 

આ અગાઉ 27મી ઓગસ્ટના 3.2 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, પરંતુ વધતા ભૂકંપના આંચકાઓને કારણે આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન અને સરોવરો તૂટવાનું જોખમ વધી રહ્યું છે.

મૃતકોની ઓળખ કરવાનું સૌથી મોટો પડકાર

આ અગાઉ ચીને જણાવ્યું હતું કે નેપાળમાં ચીનના 31 નાગરિકના મોત થયા છે, જ્યારે તિબેટમાં 500થી વધુ લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નેપાળમાં મળેલા મૃતદેહોમાંથી 85 બાળકો છે, જ્યારે લગભગ 500 જેટલા મૃતદેહ મળ્યા છે, જેમાં શરીરના અમુક હિસ્સા નથી. અમુક મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેની ઓળખ કરવાનું મુશ્કેલ છે. મૃતકોની ઓળખ કરવાનો સૌથી મોટો પડકાર છે, તેથી ડીએનએના નમૂના લેવાનું શરુ કર્યું છે. 1,000થી વધુ અજ્ઞાત લોકોના મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં તેમની કોઈ ઓળખ થઈ શકે.

પૂરને કારણે ચાર મકાન અને એક પુલ તૂટ્યો

આજે નેપાળના ગોરખા જિલ્લામાં આવેલા પૂરને કારણે ચાર મકાન અને એક પુલ તૂટી ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પોલીસના જણાવ્યાનુસાર નામરુંગ ખોલા નદીમાં પાણીના પૂર આવ્યા પછી ચુમનુબ્રી નદી સ્થિત વિસ્તારમાં પૂર આવ્યું હતું. સ્થાનિક લોકોને પૂર આવ્યાની જાણ થયા પછી લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા, પરંતુ ચાર મકાન પૂરમાં વહી ગયા હતા.