લાતુર : દેશમાં બહુચર્ચિત NEETપેપર લીક કેસના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ મુખ્ય સૂત્રધાર લાતુરના પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી છે. તે પૂણેમાં રસાયણશાસ્ત્રના લેકચરર હતો. જે એનટીએ વતી આયોજિત પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો જેના લીધે તેને પ્રશ્નપત્રની સીધી એક્સેસ મળી હતી.
મનીષા વાઘમારેની પૂછપરછ બાદ સીબીઆઈ કુલકર્ણી સુધી પહોંચી
આ અંગે મળતી માહિતી મુજબ પી. વી. કુલકર્ણીની લાતુરની દયાનંદ કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કરતા હતા.જેમાં આરોપી મનીષા વાઘમારેની પૂછપરછ બાદ સીબીઆઈ કુલકર્ણી સુધી પહોંચી હતી. લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026 ના છેલ્લા અઠવાડિયા દરમિયાન, કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમારેની મદદથી વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને ખાસ કોચિંગ વર્ગો ચલાવ્યા હતા. સીબીઆઇએ 14 મે, 2026 ના રોજ મનીષા વાઘમારેની ધરપકડ કરી હતી.
વિદ્યાર્થીઓને પ્રશ્નો તેમના વિકલ્પો અને સાચા જવાબો લખાવ્યા હતા
આ વર્ગો દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્નો તેમના વિકલ્પો અને સાચા જવાબો લખાવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો તેમની નોટબુકમાં નોંધ્યા હતા ત્યારબાદ, તપાસમાં જાણવા મળ્યું કે આ જ પ્રશ્નો 3 મે, 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના વાસ્તવિક પેપર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતા હતા.
સીબીઆઈની ટીમ બુધવારે લાતુર પહોંચી હતી
જેની બાદ સીબીઆઈની ટીમ બુધવારે લાતુર પહોંચી હતી અને પેપર લીક તપાસના ભાગ રૂપે સ્થાનિક કૉલેજના કેમિસ્ટ્રીના નિવૃત્ત ફૅકલ્ટી સભ્ય પી. વી. કુલકર્ણીને તાબામાં લીધો હતો. કુલકર્ણી કૉલેજમાંથી ચાર વર્ષ અગાઉ નિવૃત્ત થયો હતો અને રસાયણ વિષય માટે નીટનું પેપર સેટ કરનારી કમિટીમાં હતો.
પરીક્ષા 12મેના રદ થયેલી જાહેર કરવામાં આવી હતી
મેડિકલ કૉલેજમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસમાં પ્રવેશ માટે ત્રીજી મેના રોજ નીટ (યુજી) 2026 પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના પેપર લીક થયા પછી પરીક્ષા 12મેના રદ થયેલી જાહેર કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.
કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી
સીબીઆઇએ આ કેસમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુરુવારે ધરપકડ કરાયેલા અન્ય બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે પુણે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને દિલ્હી લાવવામાં આવશે.