નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર કંપની, નાયરા એનર્જીએ બુધવારે દેશભરમાં પોતાના નેટવર્ક પર પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દીધું છે. નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં રૂપિયા 5 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં રૂપિયા 3 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયગાળામાં કોઈપણ કંપની દ્વારા રિટેલ ઇંધણના ભાવમાં કરવામાં આવેલો આ પહેલો ઘટાડો છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
7,000 થી વધુ ફ્યુઅલ સ્ટેશનો પર નવી કિંમતો લાગુ
દેશભરમાં નાયરાના 7,000 થી વધુ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) પર પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાગુ થઈ ગયા છે. અહીં એ જણાવવું જરૂરી છે કે જુદા-જુદા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની સાચી કિંમતો ત્યાં લાગતા સ્થાનિક વેરા, જેમ કે વેલ્યુ-એડેડ ટેક્સ (VAT) ના આધારે અલગ-અલગ હોય છે.
સરકારી કંપનીઓએ નથી ઘટાડ્યા ભાવ
સરકારી ફ્યુઅલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ ભાવો સ્થિર રાખ્યા છે. આ કંપનીઓ ભેગી મળીને ભારતના એક લાખથી વધુ ફ્યુઅલ સ્ટેશનોમાંથી 90 ટકાથી વધુ સ્ટેશનોનું સંચાલન કરે છે.
દિલ્હીમાં કેટલો ભાવ?
દિલ્હીમાં IOC આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) પર પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ₹95.20 પ્રતિ લીટર પર યથાવત છે. ઈરાનમાં તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધ્યા બાદ, નાયરા શરૂઆતના રિટેલર્સમાંથી એક હતી જેણે ઇંધણની કિંમતો વધારી હતી.
માર્ચ મહિનામાં વધાર્યા હતા ભાવ
26 માર્ચે, નાયરાએ પેટ્રોલની કિંમતમાં ₹5 પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ત્યારપછી સરકારી ઇંધણ રિટેલર્સ (કંપનીઓ) એ પણ ભાવો વધાર્યા હતા. મે મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન ભાવોમાં ઘણી વખત ફેરફાર કરીને પેટ્રોલ અને ડીઝલ, બંનેની કિંમતોમાં કુલ મળીને ₹7.50 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.