Fri Apr 17 2026

Logo

નર્મદામાં પતિએ ઝઘડામાં પત્નીને લાફો માર્યો, પત્નીએ પથ્થરના ઘા ઝીંકી પતિને પતાવી દીધો

2026-04-10 12:33:00
Author: MayurKumar Patel
Article Image

નર્મદાઃ જિલ્લામાં એક સનસનીખેજ મામલો આવ્યો છે. એક પત્નીએ તેના પતિની નિર્દયતાથી હત્યા કરી હતી. મહિલા પતિની હત્યા કર્યા બાદ રાતભર તેની લાશ પાસે બેઠી હતી. બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો અને વાત વણસી હતી. પતિએ ગુસ્સામાં પત્નીને થપ્પડ મારી હતી. જેથી પત્ની સમસમી ઉઠી હતી.

પત્નીએ નજીકમાં પડેલો પથ્થર ઉપાડીને પતિના માથામાં માર્યો હતો. જેના કારણે પતિ ઢળી પડ્યો હતો અને ત્યાં જ મોત થયું હતું. પતિ પર હુમલો કર્યા બાદ પત્ની ફરાર નહોતી થઈ અને બીજા દિવસની સવાર સુધી ત્યાં બેસી રહી હતી.

સ્થાનિકોને આ વાતની જાણ થતાં પોલીસને માહિતી આપી હતી. સૂચના મળતાં જ પોલીસ ટીમ પહોંચી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું કે, હજુ સુધી ઝઘડાનું કારણ ખબર પડ્યું નથી. ઘટના અંગે સાચી માહિતી મેળવવા અને હત્યાનો હેતુ જાણવા આગળની તપાસ શરૂ છે. ટૂંક સમયમાં જ હત્યાના કારણનો ખુલાસો થઈ શકે છે. પોલીસ આરોપી પત્નીની પૂછપરછ કરી રહી છે.