ઇમ્ફાલ: મણિપુર સરકારે રાજ્યની તમામ શાળા કોલેજોને 3 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં વર્તમાન કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખતા તમાણ શૈક્ષણિક સંસ્થાઓને આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે 20 ઓગસ્ટને લઈને ત્રણ દિવસ સુધી રાજ્યની દરેક શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે. આખરે શા માટે સરકારે આવો નિર્ણય લીધો? ચાલો વિગતે ચર્ચા કરીએ...
NRC ને અપડેટ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયું
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાજ્યમાં વસ્તીગણતરી પહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને અપડેટ કરવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણી સાતે કેમ્પેઈન ફોર જસ્ટ એન્ડ ફેયર ડિલિમિટેશને 48 કલાક સુધા સામાન્ય હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળની જાહેરાતના બીજા દિવસે અનેક જગ્યાએ રેલીઓ નીકળી અને કેટલાક રાજનેતાઓના પૂતળા પણ સળગાવવામાં આવ્યાં હતાં.

રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને અપડેટ કરવા માટે માંગ
મૂળ માંગણી કરવામાં આવે તો, પ્રદર્શનકારીઓની માંગણી માત્ર એટલી જ છે કે, રાજ્યમાં વસ્તીગણતરી કરવામાં આવે તે પહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને અપડેટ કરવામાં આવે! સૂત્રોના જણાવ્યાં પ્રમાણે JFD પોતાના આંદોલનને વધારે તેજ કરવા માટે આજે તમામ સરકારી ઓફિસનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
વસ્તી ગણતરી પહેલા મણિપુરમાં NRC અપડેટ કરવાની માંગ પાછળના મુખ્ય મુદ્દાઓ નાગરિકતા, કથિત ગેરકાયદેસર સ્થળાંતર અને વસ્તીના આંકડાઓ છે. માંગણી એ છે કે, સૌ પ્રથમ એ નક્કી કરવું જોઈએ કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ રાજ્યમાં કથિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે. તે પછી જ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવવી જોઈએ. આ સંગઠનનું કહેવું છે કે, જ્યા સુધી તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલશે!