Sat Aug 22 2026

Logo

અનુસૂચિત જાતિના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ગુજરાતમાં રચાશે 'અનુસૂચિત જાતિ આયોગ'

2026-08-21 17:30:30
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે એક અલગ અને સમર્પિત 'રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ' ની રચના કરવાની કવાયત હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ પગલાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિ સમુદાયોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા અને તેમના માટેની કલ્યાણકારી યોજનાઓ તથા બંધારણીય સુરક્ષાના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે એક મજબૂત સંસ્થાકીય માળખું પૂરું પાડવાનો છે. રાજ્યની કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિનો હિસ્સો અંદાજે 7 ટકા છે અને ગુજરાત વિધાનસભામાં 13 બેઠકો તેમના માટે અનામત છે. આ સ્થિતિમાં ભાજપ સરકારના આ નિર્ણયને અનુસૂચિત જાતિ સમુદાયમાં પોતાની રાજકીય પકડ અને પ્રભુત્વ વધુ મજબૂત કરવાના એક રણનીતિક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશન રચવા અંગે સામાજિક ન્યાય વિભાગે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે કાયદા વિભાગ દ્વારા તેની રચના માટે અલગ કાયદો બનાવવાની જરૂર પડશે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સરકાર આગામી અઠવાડિયાઓમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. જાણકારોનું માનીએ તો, આ આયોગ પાસે ફરિયાદોની તપાસ કરવા માટે સિવિલ કોર્ટ જેવી જ સત્તાઓ હોઈ શકે છે.  પ્રસ્તાવિત કમિશનને અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ, અધિકારોના ભંગ અને સામાજિક બહિષ્કાર સહિતની ફરિયાદો સાંભળવાની જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત જમીન-મિલકતના અધિકારો, સરકારી નોકરીઓમાં અનામતના અમલ તથા અનુસૂચિત જાતિ સમુદાય માટેની વિવિધ યોજનાઓની કામગીરી પર દેખરેખ રાખવાની ભૂમિકા પણ તેને સોંપવામાં આવી શકે છે. 

હાલ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ માટે રાષ્ટ્રીય સ્તરે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ કાર્યરત છે. જોકે, રાજ્ય સ્તરે અલગ કમિશન બનવાથી ગુજરાતમાં અનુસૂચિત જાતિની ફરિયાદોનો સ્થાનિક સ્તરે ઝડપી નિકાલ અને યોજનાઓના અમલની વધુ અસરકારક દેખરેખ શક્ય બનશે તેવી આશા સૂત્રોએ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકાર પણ પ્રસ્તાવિત કમિશનને નીતિ અને કાયદાકીય મુદ્દાઓ અંગે ભલામણ કરવાની સત્તા આપે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.