નગાઃ મણિપુરના બોર્ડર વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં ફરી એકવાર માહોલ હિંસાત્મક બની રહ્યો છે. ગુરૂવારે ભારત-મ્યાનમાર બોર્ડર નજીક કામજોંગ જિલ્લામાં કઈ તાંગખુલ નગા ગામ પાસે ઉગ્રવાદીઓએ અચાનક અણધાર્યો હુમલો કર્યો હતો.અહીંયા ન માત્ર ગોળીબાર કરવામાં આવ્યો પણ અનેક ઘરમાં પણ આગચંપી કરવામાં આવી. આ બબાલથી બચવા માટે સ્થાનિકોએ નજીકના જંગલ તરફ દોટ મૂકી હતી. વિસ્તારમાં કડકડતી ઠંડી અને અંધારાને કારણે સ્થાનિકો આ હુમલાથી હેરાન-પરેશાન થયા છે.
વહેલી સવારે કરાયો હુમલો
પોલીસના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ હુમલો વહેલી સવારે 4 વાગ્યે કરવામાં આવ્યો હતો. કસોમ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નામલી, વાંગલી અને ચોરો ગામમાં હુમલો થયો હતો.આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય બોર્ડરથી આશરે 1 કિમી જ દૂર છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે, આવા ઉગ્રવાદીઓની સંખ્યા 100 જેટલી હતી. નામલીમાં બે અને વાંગલીમાં આશરે ચાર ઘર બળીને ખાખ થઈ ગયા હતા.ચોરો ગામે એક ચર્ચને બાદ કરતા સમગ્ર વિસ્તારના ઘરની આગચંપી કરવામાં આવી છે. ધારાસભ્ય એલ. કિશિંગે આ ઘટનાને લઈ જણાવ્યું હતું કે, આ 'બાહર'ના લોકોનું આક્રમણ છે.મ્યાનમારમાં સ્થિત કુકી નેશનલ આર્મી અને પિપલ્સ ડિફેન્સ ફોર્સના સંયુક્ત ઉગ્રવાદી ગ્રૂપે આ હુમલાને અંજામ આપ્યો છે.

સરકાર પાસે માગ્યો જવાબ
ધારાસભ્યએ જણાવ્યા અનુસાર આ હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિઓને તેઓ પકડીને લઈ ગયા છે. આ લોકોની હજુ સુધી કોઈ પ્રકારની ભાળ મળી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપવા માગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર મણિપુરથી નજીક આવેલા બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે. ધારાસભ્ય કિશિંગ અને દક્ષિણ તાંગખુલ વિદ્યાર્થી સંઘે અસમ રાઈફલ્સની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી છે. સૈન્યના જવાનો એક દિવસ પહેલા જ આ ગામમાં આવ્યા હતા એ ગયા બાદ તરત જ હુમલો કરાયો હતો.વિદ્યાર્થી સંઘે એવી માગ કરી છે કે, સુરક્ષાને લઈ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. મણિપુર પોલીસના કમાન્ડોને તહેનાત કરવામાં આવે. સુરક્ષાની આવી મોટી ચૂક પર સરકાર ચોખવટ કરે