(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે નાશિક બળાત્કાર કેસમાં પોલીસે સમયસર કાર્યવાહી કરીને અશોક ખરાતની ધરપકડ કરી હતી, જ્યારે ‘ધર્મગુરુ’ની કથિત કાર્યપદ્ધતિ વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ફડણવીસે કહ્યું કે ગુપ્તચર માહિતીના આધારે ખરાતની ધરપકડ કરવામાં આવી હતી અને દેશ છોડી શકે તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ખરાતને ફસાવીને સતર્કતાથી ધરપકડ કરી હતી. આ ખૂબ જ ગંભીર બાબત છે. તેણે પોતાની કહેવાતી સત્તાનો દુરુપયોગ કર્યો અને મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. તેની ધરપકડ કરવાની તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી,’ એમ પણ ફડણવીસે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ઘણી મહિલાઓ શરૂઆતમાં ફરિયાદ નોંધાવવામાં ખચકાટ અનુભવતી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને રક્ષણ આપવામાં આવ્યું હતું. ‘કોઈપણ પરિસ્થિતિમાં આ કેસમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું. ખરાત, જે પોતાને નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી કહેતા હતા અને ‘કેપ્ટન’ તરીકે જાણીતા હતા, તેમની 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 35 વર્ષની મહિલાએ ત્રણ વર્ષમાં અનેક વખત બળાત્કારનો આરોપ તેમના પર લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2022માં ધાર્મિક વિધિઓના બહાને તેને તેની ઓફિસમાં બોલાવવામાં આવી હતી, તેને નશીલું પીણું આપવામાં આવ્યું હતું અને પછી શોષણ કરવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આ દુર્વ્યવહાર વર્ષો સુધી ચાલુ રહ્યો હતો.
ખરાતના એક ભૂતપૂર્વ કર્મચારીએ આ કેસનો પર્દાફાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીએ ખરાતની ઓફિસમાં ગુપ્ત રીતે કેમેરા લગાવ્યો હતો અને મહિલાઓનું શોષણ થઈ રહ્યું હોવાના ફૂટેજ એકત્રિત કર્યા હતા. કર્મચારીએ પોલીસને સોંપેલી સામગ્રીએ કથિત ગુનાઓનું પ્રમાણ ઉજાગર કરવામાં મદદ કરી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે 10 માર્ચે બીજા જિલ્લામાંથી ફરિયાદ આવ્યા બાદ તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યારથી, વધુ મહિલાઓ આગળ આવી છે અને અધિકારીઓ તપાસ આગળ વધતાં વધુ ફરિયાદોની અપેક્ષા રાખે છે.
ખરાતના ફાર્મહાઉસ, બંગલા અને ઓફિસમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી રેકોર્ડિંગ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસકર્તાઓ વાવી, શિરડી અને સરકારવાડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા અગાઉના કેસોની પણ તપાસ કરી રહ્યા છે, જેમાં બળાત્કાર, ખંડણી અને કાળા જાદુના આરોપોનો સમાવેશ થાય છે. આ કેસને એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) સંભાળી રહી છે, જેમાં પોલીસ મહાનિર્દેશક તપાસ પર સીધી નજર રાખી રહ્યા છે.
રાજકીય વિવાદ વધી રહ્યો છે
વિપક્ષી નેતાઓએ ખરાત સાથે જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. શિવસેના (યુબીટી)ના નેતા ભાસ્કર જાધવે આ કેસમાં વરિષ્ઠ અધિકારીઓની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે આ કેસને મહારાષ્ટ્ર પર કલંક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શક્તિશાળી લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ‘ખરાત કેસને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને પોલીસ પર દબાણ છે,’ એમ વડેટ્ટીવારે કહ્યું હતું. ખરાત સાથેના તેમના કથિત સંબંધો તપાસ હેઠળ આવ્યા બાદ 20 માર્ચે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે પણ આ વિવાદને કારણે રાજીનામું આપ્યું હતું.
આરોપો અને પુરાવા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી મહિલાઓએ ખરાચ પર ધાર્મિક વિધિઓ અને દૈવી શક્તિઓના દાવાનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલીક મહિલાઓને એકલા અંદર બોલાવવામાં આવી હતી જ્યારે તેમના જીવનસાથીને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 100થી વધુ વિડિઓ ક્લિપ્સ મળી આવી છે. તપાસકર્તાઓનું માનવું છે કે આ સામગ્રીનો ઉપયોગ પીડિતોને દબાણ કરવા અથવા ધાકમાં રાખવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. અત્યાર સુધીમાં, ત્રણ એફઆઈઆર નોંધાયા છે અને વધુ થવાની શક્યતા છે. એસઆઈટી પીડિતો અને સાક્ષીઓના નાણાકીય રેકોર્ડ, ડિજિટલ પુરાવા અને નિવેદનોની તપાસ કરી રહી છે.