(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી: સોરઠની ઓળખ સમી કેસર કરી હવે ધીમે ધીમે બજારોમાં પહોંચવા લાગી છે. ત્રણેક દિવસ પહેલા તાલાળાના માર્કેટિંગ યાર્ડમાં લગભગ 10,000 બોક્સ કેરીના આવ્યા હતા ત્યારે હવે અમરેલી અને સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. પહેલા દિવસે વેપારી-ખેડૂતોની હાજરીમાં પહેલી હરાજી કરવામાં આવી હતી.
હરાજી દરમિયાન સારી ક્વોલિટીની કેરીને 20 કિલોના રૂ. 2,380 ભાવ બોલાયો હતો.
અત્યારે અમરેલી યાર્ડમાં ધારીના હુડલી પંથકમાંથી પાકેલી કેસર કેરી પણ આવી રહી છે. અહીં દરરોજ લગભગ 200 બોક્સ આવે છે. હવે અહીં પણ 400થી 500 જેટલા બોક્સ આવશે તેમ વેપારીઓનું કહેવાનું છે. જોકે બદલાતા વાતાવરણને લીધે કેરીના પાકને અસર થઈ છે. આથી આ વર્ષે માલ ઓછો આવશે તેમ લાગી રહ્યું છે, તેમ પણ વેપારીઓનું કહેવાનુ છે.