ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વર્ષ 2025-26 દરમિયાન ‘ટોબેકો સિસેશન સેન્ટર્સ’ ના માધ્યમથી 02 લાખથી વધુ તમાકુ સેવન કરનારા નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ગુજરાતમાં COTPA - Cigarettes and Other Tobacco Products Act of 2003 કાયદાના અમલ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા છે, જેના પગલે વર્ષ 2025-26માં 12,490 શાળાઓને તમાકુ-મુક્ત બની શકી છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,441 સરપ્રાઈઝ વિઝિટના કારણે શાળાઓમાં તમાકુ-સેવનનું પ્રમાણ ઘટ્યું છે.
ગુજરાત સરકારે હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દરેક દર્દી માટે 3A (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સંદર્ભે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ગામડાઓ રાજ્યમાં ટોબેકો ફ્રી વિલેજ તરીકે મોડલ બન્યા છે. જ્યારે અમદાવાદમાં પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling)ના પ્રયોગ સફળ રહ્યા છે.
પાટણના નરેશભાઈ પટેલે 1,000થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિચા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ પટેલે આજ દિન સુધીમાં એક હજારથી વધુ લોકોને વ્યસનમુક્ત બનાવ્યા છે. વર્ષ-2010માં તેમણે વ્યસનમુક્તિ અભિયાનનો આરંભ કર્યો હતો. તેમણે પુસ્તકો, ઓડિયો-વીડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વ્યસનમુક્ત બનાવવાના પ્રયાસો કર્યા છે. આ સામાજિક સેવા બદલ તેમને મુખ્ય પ્રધાન અને કલેક્ટર સન્માનિત કરી ચૂક્યા છે.
નરેશભાઈએ જણાવ્યું કે, વ્યસનથી થતા શારીરિક અને આર્થિક નુકસાન અંગેની સમજણ સૌપ્રથમ તેમણે એક ગામના સરપંચને આપી હતી. આ પ્રેરણાથી પ્રેરાઈને થોડા સમય બાદ એ સરપંચે વ્યસન છોડી દીધું અને હોસ્પિટલના સમગ્ર સ્ટાફનું મોઢું મીઠું કરાવીને પોતાની 'વ્યસનમુક્તિ'ની ઉજવણી કરી હતી. આ સકારાત્મક પરિણામથી જ નરેશભાઈને આ નિઃશુલ્ક વ્યસનમુક્તિ અભિયાન શરૂ કરવાનો શ્રેષ્ઠ વિચાર આવ્યો હતો.
તમાકુ છોડવાના મનોવૈજ્ઞાનિક ઉપાયો કયાં છે?
મહત્વપૂર્ણ વાત એ છે કે, કેન્દ્રમાં આવતા પ્રત્યેક દર્દીને નરેશભાઈ 10 મિનિટ ફાળવે છે. અને તેમને સંકલ્પ-પત્ર ભરાવે છે. તેમ જ વ્યસન છોડવા માટે વ્યવહારુ અને મનોવૈજ્ઞાનિક ઉપાય સૂચવે છે, જેમ કે, વ્યસની મિત્રોથી દુર રહેવું, પાન-પાર્લરનો રસ્તો બદલી નાખવો, તલપ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને મસાલા કે તમાકુની તીવ્ર ઈચ્છા થાય ત્યારે આદુના નાના ટુકડા (લીંબુ અને સિંધાલુણ ભેળવી) તેને મમળાવવા તેવા ઉપાયો અપનાવવા માટે કહેવામાં આવે છે. જેના કારણે ધીરે ધીરે તમાકુનું વ્યસન છૂટી જાય છે.